Aapnu Gujarat
બ્લોગ

વર્ષ ૨૦૧૭નાં મોટા કોર્ટ ચુકાદા

વર્ષ ૨૦૧૭ની પૂર્ણાહુતિ થવા આવી છે ત્યારે વિશ્વમાં વર્ષ ૨૦૧૭માં કેટલીક એવી ઘટના બની ગઇ છે જેના કારણે સમગ્ર વિશ્વનુ ધ્યાન ખેંચાયુ હતુ. વર્ષ ૨૦૧૭માં સમગ્ર દેશને હચમચાવી મુકનાર અને તમામનું ધ્યાન ખેંચનાર કાયદા સાથે સંબંધિત મોટા ચુકાદા ઉપર નજર કરવામાં આવે તો આ વર્ષમાં ત્રિપલ તલાક, રામ રહીમ કેસ, નિર્ભયા કેસ, મુંબઈ બોંબ બ્લાસ્ટકેસ, ટુજી કૌભાંડ અને લાલૂ કેસનો સમાવેશ થાય છે. આની ચર્ચા સામાન્ય લોકોની સાથે સાથે તમામ જગ્યાઓએ રહી છે.
ઘાસચારા કૌભાંડ કેસ
લાલૂ પ્રસાદ યાદવ પરિવારને ૨૩મી ડિસેમ્બરના દિવસે મોટો ફટકો પડ્યો હતો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડમાં વધુ એક મામલામાં રાંચીની સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. સજાની જાહેરાત હવે ત્રીજી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. અલબત્ત કોર્ટે ૨૨ આરોપીઓમાંથી પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત છ લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા. લાલૂ યાદવને રાંચી કોર્ટમાંથી સીધીરીતે બિરસામુંડા જેલમાં લઇ જવામાં આવ્યા હતા. ૧૯૯૬માં થયેલા આ કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં ૨૦૧૩માં નિચલી અદાલતે લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. આ કૌભાંડમાં એવા લોકો ઉપર અલગ અલગ છ કેસો ચાલી રહ્યા છે. લાલૂ ઉપરાંત આરોપીઓમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત વિદ્યાસાગર મિસાદ, આરકે રાણા, ધ્રુવ ભગત, આઈએએસ ઓફિસર મહેશ પ્રસાદ, બેક જુલિયસ સહિત ૨૨ લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. કોર્ટમાં લાલૂની સાથે તેમના પુત્ર તેજસ્વી યાદવ પણ ઉપસ્થિત હતા. ચુકાદો જાહેર કરવામાં આવ્યા બાદ લાલૂએ એક પછી એક ટિ્‌વટ કર્યા હતા.બિહારમાં થયેલા આ કૌભાંડની ગૂંજ દેશમાં જોવા મળી હતી.
ટુજી કૌભાંડ
સમગ્ર દેશને હચમચાવી મુકનાર અને રાજકીય ભૂકંપ સર્જનાર દેશના સૌથી મોટા કોભાંડો પૈકી એક તરીકે ગણાતા રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કોંભાંડ કેસમાં ૨૧મી ડિસેમ્બરના દિવસે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. પૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા અને ડીએમકેના સાંસદ કાનીમોઝી સહિત તમામ આરોપીઓને ખાસ સીબીઆઇ અદાલતે નિર્દોષ જાહેર કરી દીધા હતા. આ ચુકાદાથી કેસમાં નવો વળાંક આવી ગયો હતો નાટ્યાત્મકરીતે વળાંક આવ્યા બાદ ચુકાદો જાહેર કરાતા કાયદાકીય નિષ્ણાતોમાં પણ આને લઇને ચર્ચા છેડાઈ ગઈ હતી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીને પણ આના કારણે રાહત થઇ હતી. કારણ કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના ગાળા દરમિયાન આ મામલો બન્યો હતો. સ્પેશિયલ સીબીઆઇ જજ ઓપી સૈનીએ ચુકાદો જાહેર કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મની લોન્ડરિંગ કેસમાં તમામ આરોપોમાંથી તમામ ૧૯ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા હતા. ટુજી સ્પેક્ટ્રમ કોંભાડ કેસના છત્ર હેઠળ આ મની લોન્ડરિંગ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કહ્યુ હતુ કે પ્રોસિક્યુશન તેના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. જેથી તમામ આરોપઓને નિર્દોષ જાહેર કરવામાં આવી રહ્યા છે. ચોંકાવનારા ચુકાદા બાદ તરત જ કોર્ટ રૂમની બહાર ડિફેન્સ વકીલ વિજય અગ્રવાલે આ મુજબની વાત કરી હતી.
મુંબઈ બોંબ બ્લાસ્ટ
મુંબઈને હચમચાવી મુકનાર ૧૨ બોંબ બ્લાસ્ટની ઘટનાના ૨૪ વર્ષ બાદ ૧૬મી જૂનના ખાસ ટાડા અદાલતે આ મામલામાં પોતાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં ટાડા કોર્ટે ગેંગસ્ટર અબુ સાલેમ અને મુસ્તફા દોશા સહિત તમામ છને અપરાધી જાહેર કર્યા હતા. આરોપીઓની બીજી બેચના મામલામાં સુનાવણી ચાલી રહી છે. જે આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા તેમાં અબુ સામેલ, મુસ્તફા દોસા, કરીમુલ્લા શેખ, રિયાઝ સિદ્દીકી, તાહિર મર્ચન્ટ અને ફિરોઝ ખાનનો સમાવેશ થાય છે. જ્યારે અબ્દુલ કઈમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. પર્સનલ બોન્ડના આધાર પર તેને છોડી મુકવાનો આદેશ કરાયો હતો. કોર્ટ હવે દોષિતોની સજા ઉપર સુનાવણી કરશે. કોર્ટે કબૂલાત કરી હતી કે, દોસા, સાલેમ, તાહિર મર્ચન્ટ અને ફિરોઝ ખાન આ બ્લાસ્ટમાં મુખ્ય કાવતરાખોર હતા. જો કે, તમામ અપરાધીઓને દેશની સામે જંગ છેડવાના આરોપથી મુક્ત કરવામાં આવ્યા હતા. અબુ સાલેમને પણ ટાડાની કેટલીક કલમોમાં નિર્દોષ જાહેર કરાયો હતો. રિયાઝ સિદ્દીકીને ટાડા અને અન્ય કલમોમાં દોષિત જાહેર કરાયો છે. કોર્ટે કબૂલાત કરી હતી કે, તેમની સામે પ્રોસીક્યુશન કાવતરાના આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ છે. અબુ સાલેમને કાવતરા, ત્રાસવાદી ગતિવિધિ સહિત અનેક મામલામાં દોષિત જાહેર કરાયો હતો.
કોલકાતા હાઈકોર્ટના સિટિંગ જજ કર્ણનને સજા
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા જેએસ ખેહર અને સુપ્રીમ કોર્ટના જજની સામે અસંતોષ વ્યક્ત કરનાર કોલકત્તા હાઇકોર્ટના જજ જસ્ટીસ કર્ણન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કર્ણનને અદાલત, ન્યાયિક પ્રક્રિયા અને સમગ્ર ન્યાય વ્યવસ્થાને અપમાનિત કરવાના મામલે દોષિત ઠેરવીને છ મહિનાની જેલની સજા ફટકારી દીધી હતી. જસ્ટીસ કર્ણન ભારતીય જ્યુડિશિયલ સિસ્ટમના ઇતિહાસમાં એવા પ્રથમ જજ હશે જેમને હોદ્દા પર રહેતી વેળા જેલ ભેગા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશને તરત પાળવા માટે પણ આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જસ્ટીસ કર્ણનના નિવેદનને મિડિયામાં પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. સુપ્રીમ કોર્ટની બેંચે જસ્ટીસ કર્ણનની સામે મામલાન ગંભીરતાને ધ્યાનમાં લઇને અપમાનની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે સાથે તેમના ન્યાયિક અને વહીવટી કામકાજ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. જસ્ટીસ કર્ણને ૨૦ હોદ્દા પર રહેલા જજો અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજ પર ભ્રષ્ટાચારના આરોપો મુકયા હતા. આ સંબંધમાં તેઓએ એક ફરિયાદ પણ કરી હતી. હવે તેઓએ આ ફરિયાદમાં તપાસ કરવા માટે સીબીઆઇને સુચના આપી છે.
શશીકલા અપ્રમાણ સંપત્તિ કેસમાં દોષિત
સમગ્ર તમિળનાડુને હચમચાવી મુકનાર આવકના જાણીતા સાધનોની સામે અપ્રમાણ સંપત્તિ કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે આખરે શશીકલાને દોષિત ઠેરવતા તેમના સમર્થકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. સાથે સાથે તેમના મુખ્યપ્રધાન બનવાના સપના પર પાણી ફરી વળ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ હવે જેલમાં જવુ પડશે. સુપ્રીમ કોર્ટે શશીકલાને ચાર વર્ષની સજાને યથાવત રાખી હતી. સુપ્રીમના ચુકાદાની સાથે જ અન્નાદ્રમુકના મહાસચિવ શશીકલાના રાજકીય ભવિષ્યનો અંત આવી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસથી પનીરસેલ્વમ સાથે તેમની ખેંચતાણ મુખ્યમંત્રી પદને લઇને ચાલી રહી હતી. કોર્ટે ૧૯ વર્ષ જુના મામલામાં તેમને મુક્ત કરવાના કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દઇને આ આદેશ કર્યો હતો. આ મામલામાં સ્વર્ગસ્થ જયલલિતા પણ આરોપી હતા. નીચલી કોર્ટે શશીકલાના બે સંબંધી સુધાકરણ અને ઇલાવારસી સહિત તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. શશીકલા છ મહિનાની સજા ગાળી ચુક્યા છે. હવે જેલમાં સાડા ત્રણ વર્ષની સજા ગાળવી પડશે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં સુનાવણી કરતી વેળા ટ્રાયલ કોર્ટના ચાર વર્ષની સજા કરવાના તેના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. તમિળનાડુ સરકારે જયલલિતા, શશીકલા અને અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના હાઇકોર્ટના નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
આરુષિ કેસમાં તલવાર દંપત્તિ નિર્દોષ
સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં ૧૨મી ઓક્ટોબરના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે રાજેશ અને નુપુર તલવારને મોટી રાહત આપી દીધી હતી. મામલાની તપાસમાં અનેક ખામીઓનો ઉલ્લેખ કરીને કોર્ટે તલવાર દંપત્તિને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. પુરાવાના અભાવે તલવાર દંપત્તિને નિર્દોષ છોડવામાં આવ્યા હતા જસ્ટિસ એકે મિશ્રાએ ચુકાદો વાંચીને સંભળાવ્યો હતો. તલવાર દંપત્તિએ આજીવન કારાવાસની સજા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે જ્યારે નિચલી કોર્ટના ચુકાદાને બિલકુલ બદલી કાઢ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે, આજીવન કારાવાસની સજા આપનાર પૂર્વ જજ શ્યામલાલ પણ અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા. ચુકાદો આવતા પહેલા તલવાર દંપત્તિ પરેશાન દેખાઈ રહ્યા હતા. સવારે હેલ્થ ચેકઅપ દરમિયાન બંનેના બ્લડપ્રેશર પણ વધેલા હતા.
નિર્ભયા ગેંગરેપમાં ચારને ફાંસીની સજા અકબંધ
સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસ મામલામાં ૫મી મે ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે ચારેય અપરાધીઓને મૃત્યુદંડની સજાને યથાવત રાખી હતી. આ સામૂહિક બળાત્કાર કાંડથી દેશ હચમચી ઉઠ્યું હતું અને આને નિર્ભયા કાંડ નામ અપાયું હતું. જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણની બનેલી બેંચે સર્વસંમતિથી નિર્ભયા મામલામાં ફાંસીનો ચુકાદો અકબંધ રાખ્યો હતો. કોર્ટે આ મામલામાં દોષિત અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા અને મુકેશને ફાંસીની સજાનો ચુકાદો યથાવત રાખીને સોપો પાડી દીધો હતો. આ અગાઉ ચારેય અપરાધીઓએ સજાની સામે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે ૨૭મી માર્ચના દિવસે આ મામલામાં ચુકાદો અનામત રાખ્યો હતો. સમગ્ર દેશની આ ચુકાદા ઉપર ચાંપતી નજર હતી. સુપ્રીમ કોર્ટે આ કઠોર ચુકાદો આપીને એવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે, આ પ્રકારના બર્બરતાપૂર્ણ અપરાધ માટે નરમી દાખવી શકાય નહીં. કોર્ટે કબૂલાત કરી હતી કે, અપરાધીઓને ખબર છે કે તેઓએ કેટલી અમાનવીય હરકત કરી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, આ અપરાધના કારણે દેશમાં શોકની સુનામી આવી ગઈ હતી. કોર્ટે ચુકાદા આપ્યાની સાથે જ નિર્ભયાના માતા-પિતા સંતુષ્ટ દેખાયા હતા. જસ્ટિસ દિપક મિશ્રાએ વિસ્તારપૂર્વક ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ કેસે સમગ્ર દેશને હચમચાવી મુક્યો હતો.
રામ રહીમ બળાત્કાર કેસમાં દોષિત
ડેરા સચ્ચાના પ્રમુખ ગુરમિત રામ રહીને બળાત્કારના કેસમાં અપરાધી જાહેર કરવામાં આવ્યા બાદ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. પંચકુલા અને આસપાસના વિસ્તારોમાં ભડકી ઉઠેલી હિંસામાં ૩૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા હતા. પંચકુલાની ખાસ સીબીઆઈ કોર્ટે ડેરા વડા રામ રહીમને બળાત્કારમાં દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ તેમના સમર્થકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. પંચકુલામાં સેંકડો ગાડીઓને ફૂંકી મારવામાં આવી હતી. પત્રકારો ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા. રામ રહીમના સંદર્ભમાં ચુકાદો આવ્યા બાદ દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરહદો ઉપર એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. બીજી બાજુ હિંસા બેકાબૂ બન્યા બાદ અને ૩૦થી વધુ લોકોના મોત થયા બાદ અનેક વિસ્તારોમાં સંચારબંધી લાગૂ કરી દેવામાં આવી હતી. ભટિંડા, સંગરુર અને પટિયાલામાં સંચારબંધી લાગૂ કરી દેવામાં આવી હતી. હરિયાણાના પંચકુલમાં પણ સંચારબંધી લાગૂ કરી દેવામાં આવી હતી. હિંસા ફેલાયા બાદ સેનાની છ ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે. સિરસામાં પણ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી હતી. રેપિડ એક્શન ફોર્સના જવાનો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. કોર્ટ સંકુલની બહાર ડેરા સમર્થકોએ પત્રકારો ઉપર હુમલા કર્યા હતા. સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામ રહીમને બે સાધ્વી સાથે બળાત્કારના મામલામાં દોષિત જાહેર કરીને ૨૦ વર્ષની સજા કરી હતી.
લાલબત્તી પર પ્રતિબંધ અમલી
દેશભરમાં તમામ વીઆઈપીઓની ગાડીમાંથી પહેલી મે ૨૦૧૭થી લાલ લાઈટને દૂર કરવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના વાહન ઉપર જ લાલબત્તીનો પ્રયોગ થઇ શકશે. વીઆઈપી કલ્ચરનો અંત લાવતા આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. આજથી લાલ લાઈટ હટાવવાનો અમલ શરૂ થઈ ગયો હતો. તેવા સમયે બિહારના આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના ધારાસભ્ય વિરેન્દ્રની ગાડી પર લાલ લાઈટ હજુ પણ યથાવત રહી હતી. તેમણે આ લાલ બત્તી કાઢવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. અત્રે નોંધનિય છે કે મોદી કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો દેશભરમાં અમલ શરૂ થઈ ગયો હતો. રાજસ્થાન, હરિયાણા, હિમાચલ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં કેબિનેટના નિર્ણય પછી તરત જ અમલ શરૂ થઈ ગયો હતો.
પ્રાઈવેસીના અધિકારને મૂળ અધિકાર ગણાવ્યો
ત્રિપલ તલાકના મુદ્દા ઉપર ઐતિહાસિક ચુકાદો આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે ૨૪મી ઓગસ્ટના દિવસે રાઇટ ટુ પ્રિવેસીના સંદર્ભમાં પણ ઐતિહાસિક ચુકાદો આપીને ફરી એકવાર નવી ચર્ચા જગાવી હતી. સાથે સાથે આધાર કાર્ડને લઇને પણ લોકોમાં ચર્ચાનો દોર શરૂ થઇ ગયો હતો. અંગતતા હવે મૂળભૂત અધિકાર તરીકે છે તેવી વાત સુપ્રીમ કોર્ટે કરી હતી. એક ખુબ જ મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અંગતતાના અધિકાર અથવા તો રાઇટ ટુ પ્રિવેસીને મૂળભૂત અધિકાર એટલે કે ફન્ડામેન્ટલ રાઇટના હિસ્સા તરીકે ગણાવીને એક દાખલો બેસાડ્યો હતો. નવ જજની બંધારણીય બેંચે ૧૯૫૪થી ૧૯૬૨માં આપવામાં આવેલા ચુકાદાઓને પલટાવીને કહ્યું હતું કે, રાઇટ ટુ પ્રિવેસી મૂળભૂત અધિકાર હેઠળ જીવનના અધિકારના હિસ્સા તરીકે છે. રાઇટ ટુ પ્રિવેસી બંધારણની કલમ ૨૧ હેઠળ આવે છે. હવે લોકોની અંગત માહિતી જાહેર કરી શકાશે નહીં. અલબત્ત આધારની યોજનાઓ સાથે જોડવા પર સુનાવણી આધાર બેંચ દ્વારા કરવામાં આવશે જેમાં પાંચ જજ રહેશે. સુપ્રીમ કોર્ટના આજના આદેશ આપ્યા બાદ તેની અંગત લાઇફ પર અસર થશે. સુપ્રીમ કોર્ટની નવ સભ્યોની બંધારણીય બેંચ દ્વારા સર્વસંમતિથી આ અંગેનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
ત્રિપલ તલાક ગેરબંધારણીય છે
સુપ્રીમ કોર્ટે ખુબ જ સંવેદનશીલ અને જટિલ ત્રિપલ તલાકના મુદ્દા પર ૨૨મી ઓગસ્ટના દિવસે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને ત્રિપલ તલાકને ગરબંધારણીય ઠેરવતા દેશમાં જુદા જુદા સમુદાયમાં આની ભારે ચર્ચા જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય પીઠે ૩-૨ની બહુમતિ સાથે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રિપલ તલાક પર આગામી છ મહિના માટે સ્ટે મુકી દીધો હતો. સાથે સાથે કેન્દ્ર સરકારને ત્રિપલ તલાકના મુદ્દા ઉપર કાયદો બનાવવા માટે સૂચના આપી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટના પાંચ જજ પૈકી ત્રણ જજે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો હતો જ્યારે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જેએસ ખેહર અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરે આ મામલામાં જુદો અભિપ્રાય આપ્યો હતો. જસ્ટિસ કુરિયન, જસ્ટિસ જોસેફ અને જસ્ટિસ નરીમને ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને આને સ્વૈચ્છિક તરીકે ગણાવીને આની ટિકા કરી હતી. સાથે સાથે ત્રિપલ તલાકને ફગાવી દીધો હતો. ૩-૨ની બહુમતિથી આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ૩૦મી માર્ચ ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું હતું કે, આની સાથે જોડાયેલી અરજી ઉપર પાંચ જજની બંધારણીય બેંચ સુનાવણી કરશે. તમામ પાસાઓ ઉપર વિચારણા કરશે. કોર્ટે એ વખતે કહ્યું હતું કે, આ મામલો ખુબ જ ગંભીર છે અને આને ટાળી શકાય નહીં. કોર્ટે તમામ સંબંધિત પક્ષોને લેખિતમાં પોતાની વાત એટર્ની જનરલ પાસે જમા કરવા કહ્યું હતું. ૧૧મી મે ૨૦૧૭ના દિવસે આ મામલામાં બંધારણીય બેંચમાં સુનાવણી શરૂ થઇ હતી.
પ્રદૂષણને લઇને ફટાકડા પર પ્રતિબંધ
દિલ્હી અને એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં લઇને સુપ્રીમ કોર્ટે દિપાવલી પર ફટાકડાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ આને લઇને જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિરોધ પણ કરાયો હતો પરંતુ આને લઇને કોઇ ફેર વિચારણા કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો અને આ મામલે રાજનીતિ ન કરવા તમામને અપલી કરી હતી.
૧૫ વર્ષથી ઓછી વયની કિશોરી સાથે સેક્સ રેપ સમાન
૧૫ વર્ષથી ઓછી વયની કિશોરી સાથે પતિ દ્વારા બળજબરીપૂર્વક સેક્સ સંબંધ બળાત્કાર તરીકે હોવાનું તારણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું અને આ સંબંધમાં પગલા લેવાનું સૂચન પણ કર્યું હતું.

Related posts

પરમાણુ પરીક્ષણથી જરાય ઓછી નથી ‘મિશન શક્તિ’ની ઉપલબ્ધિ

aapnugujarat

कृषि-कानूनः दाम बांधो नीति

editor

શું તમારી ગાડી જરૂરત કરતાં વધારે ફ્યુઅલ ખાય છે? અપનાવો આ ટિપ્સ અને વધારો એવરેજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1