રાજ્યમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે ત્યારે આફતમાં કેટલાકો માટે મોટો અવસર પણ બની ગઈ છે. ઈન્જેક્સનોની કાળા બજારી, ખોટા રિપોર્ટ રજુ કરી છેતરતા કેટલાક ટ્રાન્સપોર્ટસ, બસો બંધ છે તો તેનો ફાયદો ઉઠાવતા કેટલાક રિક્ષાવાળાઓ, અન્ય ઘણા ક્ષેત્રોમાં લૂંટ શરૂ થઈ છે અને આવું જ કાંઈક કેટલીક હોસ્પિટલ્સમાં પણ બની રહ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉનમાંથી માનવતાને શરમાવે તેવો વીડિયો વાઇરલ થયો છે. રાજકોટમાં કોરોના કાળમાં માનવતા નેવે મુકાઈ છે. કપરી પરિસ્થિતિમાં પણ રૂપિયાનો વેપાર શરૂ થયો છે. ખાટલા માટે સરકારી હોસ્પિટલમાં રૂપિયાનો વેપાર સામે આવ્યો છે.
રાજકોટ સિવિલમાં બેડ માટે નવ હજાર રૂપિયા લેવામાં આવે છે. એક બેડ ખાલી કરાવવા માટે નવ હજાર રૂપિયા લેવામાં આવે છે. સમગ્ર મામલાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં નવ હજાર રૂપિયામાં બેડ આપવામાં આવી રહ્યા છે. બેડ અને સારવાર માટે દર્દીઓની બહાર કતાર લાગી છે જ્યારે બીજી તરફ રૂપિયાના ભોગી વેપાર કરી રહ્યા છે. રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં બેડના કાળા બજારના વીડિયોને લઇને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઇ છે.
સરકારના ઉચ્ચ સત્તાધીશોએ ગાંધીનગર બેઠા અને રાજકોટમાં આવીને બેડની તંગી નહીં રહે, છ દિવસમાં છ હજાર બેડ વધારીશું, ઈન્જેક્શનની તંગી નથી એવી કરેલી વાતો હજુ વ્યવહારમાં જોવા નથી મળતી, વ્યવહારમાં જમીન પર આજે સિવિલ હોસ્પિટલે ૧૦૦ જેટલી એમ્બ્યુલન્સ ધોમધખતા તાપમાં (હવે માંડવા નંખાયા છે. ) સારવાર માટે તરસતા દર્દીઓને બેડ મળે તેની રાહ જોતા કતારમાં ઉભેલી નજરે પડી હતી. એક દર્દીના પરિવારજનો હોસ્પિટલમાં લાંબી કતારો હોય ઘરેથી જ ખાટલો લાવી દર્દીને તેના પર સુવડાવીને ઓક્સીજન ચડાવાયું હતું.
ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં રોજ કમકમાટી ઉપજે તેવા દ્રશ્યો જોવા મળે છે. ખાનગી અને સરકારી એમ્બ્લુયન્સમાં લાચાર દર્દીઓ સિવિલમાં બેડ મળે તે માટે કલાકો સુધી કતારમાં ઉભા રહે છે અને મોટાભાગના શ્વાસની તકલીફ હોવાની ફરિયાદો કરતા હતા. આજે આશરે પચાસેક જેટલી એમ્બ્લુયન્સ કતારમાં રહી હતી. આ સ્થિતિ રોજની છે.
તો બીજી તરફ સરકારના હેલ્પ સેન્ટરમાં બેડ નથી મળતી તેવી ૪૪૫ ફરિયાદો નોંધાઈ હતી. કોરોના સારવાર માટે શહેરની માત્ર ૧૦૪ હેલ્પલાઈન પર રોજ ૧૨૦૦ દર્દીઓના પરિવારજનો ફોન કરીને મદદ માંગે છે,આ જ રીતે ૧૦૮માં કોલ્સ પણ વધ્યા છે. અગાઉ તો આવી એમ્બ્યુલન્સ એક દર્દીને મુકીને પછી બીજાને લેવા માટે નીકળી જતી પણ હવે તો હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ કલાકો સુધી અટકી પડે છે.
હીવટીતંત્રના બેડ મેળવવા માટેના કોલ સેન્ટરના નંબર પર ફોન કરતા સ્પષ્ટ જણાવાયું કે ‘ખાનગીમાં તો કોઈ બેડ આજે ખાલી નથી, સિવિલમાં લાઈન છે પરંતુ, પ્રયાસ કરી જુઓ. ‘
બેડની તંગીથી કોરોનાએ વિકરાળ રૃપ એટલા માટે લીધું છે કે લોકોને સારવારમાં ઢીલ થાય છે અને સ્થિતિ ગંભીર બની જાય છે. એક ખાનગી અગ્રણી તબીબે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને દાખલ કર્યા પછી અન્ય કેસમાં અમે દર્દીને બે-ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ કરી દેતા પણ કોરોના દર્દીની સ્થિતિ એવી કથળતી હોય છે કે એક-બે સપ્તાહ સુધી ઈન્ડોર પેશન્ટ તરીકે રાખવા પડે છે તેથી બેડ જલ્દી ખાલી થતી નથી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ