કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પક્ષ પર બંગાળ અને તેની સંસ્કૃતિને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે બુધવારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષ (ભાજપ) દ્વારા ‘સોનાર બાંગ્લા’ (સુવર્ણ બંગાળ)ના નિર્માણનું અપાતું વચન ‘ઝાંઝવાનું જળ’ (મૃગજળ) જેવું છે અને આ ભગવો પક્ષ માત્ર દ્વેષભાવ અને હિંસા ફેલાવે છે તેમ જ ભાષા, ધર્મ, કોમ અને સંપ્રદાયના ધોરણે લોકોનું વિભાજન કરી રહ્યો છે. તેમણે અહીં ચૂંટણીસભાને સંબોધતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના નેતૃત્વ હેઠળનો તૃણમૂલ કૉંગ્રેસ પક્ષ આ ભગવા પક્ષના નેતૃત્વ હેઠળના એનડીએનો ઘટક પક્ષ બન્યો હતો, પરંતુ અમારો પક્ષ ભાજપ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સાથે ક્યારેય નહિ જોડાય. રાહુલ ગાંધીએ ભાજપના નારા ‘સોનાર બાંગ્લા’ (સુવર્ણ બંગાળ)ની મજાક ઉડાડતા જણાવ્યું હતું કે ભાજપનું આ વચન ‘ઝાંઝવાનું જળ’ (મૃગજળ) જેવું છે અને તે દરેક રાજ્યના લોકોને આવું સ્વપ્ન દેખાડે છે. રાહુલ ગાંધીએ પશ્રિ્ચમ બંગાળમાંના ‘લાંચ’ના દૂષણની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે જનતાએ તૃણમૂલ કૉંગ્રેસને રાજ્યમાં સરકાર રચવાની તક આપી હતી, પરંતુ તે નિષ્ફળ ગઇ હતી. રાજ્યમાં બેરોજગારીની સમસ્યા ઘણી છે. તેમણે તૃણમૂલ કૉંગ્રેસના નારા ‘ખેલા હોબે’ના સંદર્ભે જણાવ્યું હતું કે જનતાની સેવા કરવી અને રમત રમવી, એ બન્ને અલગ બાબત છે. રાહુલ ગાંધીએ ‘નવા યુગ’ના નિર્માણ માટે કૉંગ્રેસ – આઇએસએફ – ડાબેરીઓની યુતિના ઉમેદવારોને મત આપવાની અપીલ કરી હતી.
આગળની પોસ્ટ