હોળીના તહેવારને અનુલક્ષીને ઉત્તર પ્રદેશના શાહજહાંપુર ખાતે ૪૦ જેટલી મસ્જિદોને પ્લાસ્ટિક શીટ વડે ઢાંકી દેવામાં આવશે જેથી મસ્જિદોના માળખા પર રંગ ફેંકી સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાના પ્રયત્નોને રોકી શકાય. એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.
શાહજહાંપુરમાં હોળીના દિવસે ભેંસગાડી પર નીકળતા સરઘસમાં ’લાટ સાહેબ’ મુખ્ય આકર્ષણ હોય છે. આ સરઘસ દ્વારા અંગ્રેજોએ હિંદુસ્તાનીઓ પર જે અત્યાચાર કર્યો હતો તેનું દુઃખ આજે પણ વ્યક્ત કરવામાં આવે છે. ભેંસગાડી પર બ્રિટિશરના પ્રતીક તરીકે બેઠેલી વ્યક્તિને લોકો જૂતા વડે માર મારે છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે.
અધિકારીએ જણાવ્યું કે, લાટ સાહેબનું સરઘસ નીકળે છે તે રસ્તાઓ પર જ મસ્જિદ આવે છે. આ કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૨૨૫ મેજિસ્ટ્રેટના હવાલા અંતર્ગત શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
શાહજહાંપુરના એસપી સંજય કુમારે જણાવ્યું કે, શોભાયાત્રાના રસ્તામાં આવતી તમામ મસ્જિદને ઉપરથી નીચે સુધી પ્લાસ્ટિક શીટ વડે ઢાંકી દેવામાં આવશે જેથી લોકો મસ્જિદના માળખા પર રંગ કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુ ન ફેંકે અને સાંપ્રદાયિક સ્નેહને ખલેલ ન પહોંચે તે સુનિશ્ચિત થઈ શકે.
કુમારે જણાવ્યું કે, કેટલીક મસ્જિદને ઢાંકી દેવામાં આવી છે અને બાકીની મસ્જિદને હોલિકા દહન (૨૮ માર્ચ) પહેલા ઢાંકી દેવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, મસ્જિદના આગળના ભાગોને હોર્ડિંગ્સ વડે ઢાંકી દેવામાં આવ્યા છે તથા સરઘસના રૂટમાં આવતા કેટલાક રસ્તાઓ પર બેરિકેડ્સ મુકવામાં આવ્યા છે અને તેને એક દિવસ પહેલાથી બંધ કરી દેવામાં આવશે જેથી કોઈ અસામાજીક તત્વો સરઘસને ખલેલ ન પહોંચાડે.