દેશમાં રાસાયણિક ખાતરો જેમ કે યુરિયા, ડી.એ.પી. અને એન.પી.કે.ની રાષ્ટ્રીય માંગ અને તેની સામે ઉપલબ્ધ જથ્થા અંગે લોકસભાના ચોમાસુ સત્રમાં પૂછાયેલ પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જવાબ આપતાં જણાવેલ છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશી અને યોગ્ય નીતિઓને કારણે આજે દેશમાં રાસાયણિક ખાતરની તંગી ભૂતકાળ બની ગયેલ છે.
દેશના વિભિન્ન રાજયોમાં યુરિયા ખાતરની ઉપલબ્ધતા અને માંગ અંગે જણાવેલ છે કે વર્ષ ૨૦૧૪-૧૫ માં ૩૦૬.૭૧ લાખ મેટ્રીક ટન ની માંગ સામે ૩૧૦.૪૨ લાખ મેટ્રીક ટન ઉપલબ્ધ થયું, વર્ષ ૨૦૧૫-૧૬ માં ૩૧૩.૩૫ લાખ મેટ્રીક ટન માંગ સામે ૩૨૫ લાખ મેટ્રીક ટન ઉપલબ્ધ થયું, વર્ષ ૨૦૧૬-૧૭ માં ૨૮૯.૦૯ લાખ મેટ્રીક ટન માંગ સામે ૩૦૯.૦૮ લાખ મેટ્રીક ટન ઉપલબ્ધ થયું અને વર્ષ ૨૦૧૭-૧૮ ના જુન ૨૦૧૭ સુધીમાં ૬૩.૬૪ લાખ મેટ્રીક ટન ની માંગ સામે ૮૦.૨૮ લાખ મેટ્રીક ટન ઉપલબ્ધ થયું. જયારે અન્ય રાસાયણિક ખાતરની વાત કરીએ તો વર્ષ ૨૦૧૭-૧૮ (એપ્રિલ થી જુન) દરમ્યાન ડી.એ.પી.ની રાષ્ટ્રીય માંગ ૧૮૩૫.૬૩ હજાર મેટ્રીક ટન સામે ૨૫૩૩.૮૫ હજાર મેટ્રીક ટન ઉપલબ્ધ થયું. જયારે એન.પી.કે.ની ૧૩૮૪.૮૩ હજાર મેટ્રીક ટન માંગ સામે ૨૪૩૦.૪૯ હજાર મેટ્રીક ટન જેટલું ખાતર ઉપલબ્ધ રહયુ છે. આમ કોઇ પણ પ્રકારના રાસાયણિક ખાતરની અછત આજે રહી નથી.
વર્ષ ૨૦૧૪ ની અગાઉના વર્ષોમાં ખાતર માટે આવેલ ખેડૂતો પર લાઠીચાર્જ કરવો પડે તેવી સ્થિતિ દેશમાં પ્રવર્તી રહી હતી, પરંતુ કેન્દ્ર સરકારની નીતિ અને નિયતના કારણે આજે જરૂરીયાતથી અધિક માત્રામાં રાસાયણિક ખાતરો ઉપલબ્ધ થઇ રહયા છે. નીમકોટેડ યુરિયાના પ્રયોગથી ખેડૂતોનું ખાતર ઉદ્યોગમાં વપરાતુ બંધ થયેલ છે. જેથી પણ કરોડો રૂપિયાની સબસીડીની બચત થઇ હોવાની માહિતી કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ લોકસભામાં આપેલ છે.