તમામ જિલ્લા અને તાલુકામથકોએ સરકારી કર્મચારીઓના રહેઠાણ માટે બહુમાળી વસાહતોનું નિર્માણ કરાશે તેવી જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે કરી હતી.ગાંધીનગરમાં રૂ. ૬૩ કરોડના ખર્ચે કુલ ૧૦ બ્લોકમાં ૨૮૦ યુનિટ ધરાવતા નવા મકાનોના લોકાર્પણપ્રસંગે તેમણે આમ જણાવ્યું હતું. આ વસાહતને શ્યામજી કૃષ્ણ વર્માનું નામ આપવામાં આવ્યું છે.સી કક્ષાના ૨૮૦ યુનિટ ધરાવતાં સાત માળના દસ બ્લોકનું લોકાર્પણ કર્યા બાદ નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, બીજા ૫૬ વધુ મકાનો આ જગ્યાએ નવા બંધાશે. રાજય સરકારના કર્મચારીઓને સારી સુવિધા વાળા મકાનો પ્રાપ્ત થાય અને જમીન બચે તે માટે રાજયમાં તમામ જિલ્લા અને તાલુકા મથકોએ સરકારી કર્મચારીઓ માટે બહુમાળી આવાસો બાંધવાનું આયોજન હાથ ધરાયું છે.ગાંધીનગરમાં વર્ષો જૂના સરકારી આવાસોની જગ્યાએ નવી બહુમાળી આવાસો બાંધવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે. સરકારી આવાસોની બાજુમાં જ શોપિંગ સેન્ટર બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. ગાંધીનગર સ્માર્ટ સિટી જાહેર થતાં રૂ.૫૦૦ કરોડના વિવિધ વિકાસકામો હાથ ધરાશે.નાયબ મુખ્યપ્રધાને આ વસાહતમાં વૃક્ષારોપણનો પ્રારંભ પણ કરાવ્યો હતો. આ સરકારી વસાહતમાં મોટાપાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.