ગરવા ગઢ ગિરનારની ઊંચાઇઓને આંબવી બધાં માટે શક્ય નથી જેના ઉપાય તરીકે ગિરનાર પર્વત પરના ધાર્મિક સ્થાનોએ પહોંચવા રોપ વે પ્રોજેક્ટની યોજના શરુ કરાઇ છે. આ પ્રોજેક્ટ ૨૦૧૮માં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે ત્યારે તેને લઇને વિવિધ કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગિરનાર રોપ-વેનું કામ કરનાર ઉષા બ્રેકો કંપનીના ચીફ જનરલ મેનેજર મનોજ પવાર, જીઓ ફીઝિકલ ટીમના નિષ્ણાત, વિદેશી કંપનીના પ્રતિનિધિ અને ઉષા બ્રેકોની ટીમે ગિરનાર સાઇટની મુલાકાત લીધી હતી. આ અંગે ચીફ જનરલ મેનેજર મનોજ પવારે જણાવ્યું હતું કે, હાલ ઓફ સાઇટની કામગીરી પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે.રોપ-વેનાં પોલ ઉભા કરવા માટે ગિરનારની જમીનમાં નીચે ૧૫ થી ૨૦ મીટર ખોદકામ કરવામાં આવશે. બાદ તેમાં પોલ ઉભા કરવામાં આવશે. ગિરનાર રોપ-વેને લઇ ૬ વખત સર્વે કરવામાં આવ્યો છે અને હજુ એક વખત સર્વે કરવામાં આવશે. બાદ સાઇટ ઉપર કામ કરવામાં આવશે. જેથી કરીને રોપ-વેની કામગીરી શરૂ થયા બાદ વચ્ચે બંધ ન કરવી પડે.
રોપ-વે પહેલા ટેમ્પરરી રોપ-વે બનાવવામાં આવશે. જેની કામગીરી ટૂંકસમયમાં શરૂ થશે અને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે. ટેમ્પરરી રોપ-વેની ટ્રોલી ૫ થી ૧૩ ટન વજનનું વહન કરી શકશે. ટેમ્પરરી રોપ-વે બનાવવાનું મુખ્ય કારણ એ છે કે મેનપાવર કરતા ઝડપથી કામગીરી કરી શકાય. ગિરનાર રોપ-વે ૨૦૧૮ના વર્ષનાં નવરાત્રિમાં પૂર્ણ કરવાનો કંપનીનો પ્રયાસ છે. ગિરનાર રોપ-વેની સામગ્રી યુરોપના દેશમાંથી આવશે. ગિરનાર રોપ-વે દુનિયાનો સૌથી આધુનિક રોપ-વે બનશે.આ પ્રોજેક્ટની શરુઆત ૨૦૦૭માં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી. આશરે દસ વર્ષનો સમય પસાર થયાં બાદ અનેક અંતરાયો દૂર થયા બાદ ગિરનાર રોપ-વેની કામગીરી તેજ ગતિમાં આવી છે. પકડી છે. આ પ્રોજેકટ પાછળ રૂપિયા ૧૧૦ કરોડનો ખર્ચ થનાર છે. કેન્દ્ર સરકારે જીએસટી લાગુ કરતાં ગણી સામગ્રી મોંઘી થઇ છે. જેની અસર આ પ્રોજેક્ટને પણ થશે. જેના કારણે ખર્ચમાં ૧૦ થી ૧૨ ટકા વધારો થવાની શકયતા છે.