ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં રાજ્ય પોલીસે ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુઝાહીદ્દીનના મોટા ભરતી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટને ચલાવવામાં મુખ્ય ભૂમિકા હિઝબુલના ત્રાસવાદી લીડર અને કમાન્ડર પરવેઝ વાનીની હતી. કુપવારા જિલ્લાના હેન્ડવારા વિસ્તારનો આ કુખ્યાત ત્રાસવાદી છેલ્લા કેટલાક સમયથી ભરતી રેકેટ ચલાવી રહ્યો હોવાની વિગત સપાટી પર આવી રહી છે. પોલીસે કહ્યુ છે કે બાતમી મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ભરતી રેકેટમાં ફસાઇ જનાર યુવાનોને ત્રાસવાદી કેમ્પમાં ટ્રેનિંગ માટે મોકલી દેવામાં આવતા હતા. પોલીસના કહેવા મુજબ અટકાયતમાં લેવામા ંઆવેલા ત્રણ ખતરનાક શખ્સો પૈકી એક અબ્દુલ રાશિદ ભટ્ટ મે મહિનામાં પાકિસ્તાન જઇને આવ્યો હતો. સાથે સાથે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત ત્રાસવાદી સંગઠન દ્વારા ચલાવવામાં આવતા ખાલિદ બિન વાલીદ કેમ્પમાં ટ્રેનિંગ પણ લીધી હતી. એક અલગતાવાદી સંગઠનની ભલામણના આધાર પર નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઇ કમીશન પાસેથી તેને વીઝા મળ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા ત્રણ શખ્સો પાસેથી શસ્ત્રો અને દારૂગોળા ઉપરાંત ક લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી. આ મોડલ મારફતે ત્રાસવાદી સંગઠનોને લોજિસ્ટિક સપોર્ટ આપવાનુ કામ પણ ચાલી રહ્યુ હતુ. હાલમાં ત્રાસવાદી ગતિવિધી જમ્મુ કાશ્મીરમાં વધી છે. આંકડા પરથી આ બાબત સાબિત થાય છે. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે હજુ સુધી ૧૦૨ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. છેલ્લા સાત વર્ષમાં જાન્યુઆરી અને જુલાઇ વચ્ચેના ગાળામાં સૌથી વધારે ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ વિગત આપતા કહ્યુ છે કે સુરક્ષા દળોએ લશ્કરે તોયબા, હિઝબુલ મુજાહીદીન અને જેશે મોહમ્મદના ત્રાસવાદીઓનો ખાતમો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં લશ્કરે તોયબાનો કમાન્ડર બશીર લશ્કરી અને હિઝબુલનો કુખ્યાત ત્રાસવાદી સબ્જાર અહેમદનો સમાવેશ થાય છે. લશ્કરી દક્ષિણ કાશ્મીરમાં છ પોલીસ જવાનની હત્યામાં સામેલ હતો. અધિકારીએ વિગત આપતા કહ્યુ છે કે ૧૨મી જુલાઇ સુધી ૧૦૨ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. આની સાથે જ છેલ્લા સાત વર્ષના ગાળામાં સૌથી વધારે ત્રાસવાદીઓ આ ગાળામાં ફુકાયા છે.
આગળની પોસ્ટ