અમરનાથ યાત્રીઓ પર હુમલાનું કનેકશન આતંકી મસૂદ અઝહર સાથે હોવાનું જાણવા મળે છે. મસૂદ અઝહરે ભૂતકાળમાં પણ સંસદ પર હુમલો કરાવ્યો હતો. મસૂદ અઝહરે પઠાણકોટ અને ઉરી હુમલાની સાજિશ રચી હતી. હવે એવો ઘટસ્ફોટ થયો છે કે અમરનાથ યાત્રાના થોડા દિવસ પહેલાં મસૂદ અઝહરે એક ઓડિયો જારી કર્યો હતો. જેમાં ભારતમાં મોટા આતંકી હુમલાનો સંકેત આપ્યો હતો. આ ઓડિયો ટેપમાં એક આતંકી મસૂદ અઝહરનો નાપાક સંદેશો સંભળાવી રહ્યો છે. ટેપ સાંભળીને એવું લાગે છે કે જાણે મસૂદ અઝહર કોઈ મોટા આતંકી હુમલાનો સંકેત આપી રહ્યો છે.આ ઓડિયો ટેપમાં બોલવામાં આવી રહ્યું છે. ‘હિંદુસ્તાનના મુસલમાનો હવે માથાથી ઉપર વહી રહ્યું છે. ઈન્ડિયામાં હાલત સતત વણસતી રહી છે, જે સહન કરવાને લાયક નથી. નફરતની સ્થિતિ છે. જ્યારથી મોદી આવ્યા છે ત્યારથી સ્થિતિ નિવેદનથી વધુ આગળ વધી રહી છે. હિંદુઓ અત્યારે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છે. એવી ભૂલ કે જેનું પરિણામ તેમને ભોગવવું પડશે. હિંદુ અત્યારે મોટા જુલમ આચરી રહ્યા છે. આ જુલમ ૧૦ ગણી તાકાત સાથે તેમના ઘર પર વળતો હુમલો કરશે. મોદી અને યોગી પોતાની કોમને આ તરફ લઈ જઈ રહ્યા છે.મસૂદ અઝહર હિંદુસ્તાન વિરુદ્ધ મોટી સાજિશને અંજામ આપી ચૂક્યો છે. મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનના આતંકી સંગઠન જૈસ-એ-મહંમદનો વડો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અમરનાથ યાત્રાની સમગ્ર સાજિશ લશ્કરના કમાન્ડર ઈસ્માઈલે રચી હતી. ઈસ્માઈલનું પૂરું નામ મહંમદ અબુ ઈસ્માઈલ છે.