ધરતી સ્વર્ગ ગણાતુ કાશ્મીર આજકાલ અશાંત બન્યું છે. સોમવારે અમરનાથ યાત્રાળુઓ પર થયેલા આતંકવાદી હુમલાને લીધે ટુર વ્યવસાયને અસર પહોંચી છે. ગુજરાતભરમાંથી ૫૦૦થી વધુ ટુરિસ્ટોએ છેલ્લી ઘડીએ કાશ્મીર જવાનુ માંડી વાળ્યું છે પરિણામે ટુર ઓપરેટરોને આર્થિક ફટકો પડયો છે. ૫૦૦થી વધુ ગુજરાતીઓએ કાશ્મીર પેકેજ માટે હોટલ-વિમાની ટિકિટ રદ કરાવી , ટુર ઓપરેટરોને ફટકો પડયો આ વખતે આતંકીઓએ અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવ્યા હતાં તેમાંયે ગુજરાતી પ્રવાસીઓ આતંકીઓના આતંકનો ભોગ બન્યા હતાં . ટુર ઓપરેટરોનું કહેવું છેકે, આતંકવાદી હુમલા બાદ કાશ્મીર ફરવા જનારાંઓમાં હવે ભય પ્રવર્તી રહ્યો છે. કાશ્મીરમાં અન્ય ભાગોમાં શાંતિ પ્રવર્તી રહી છ આમ છતાંયે ગુજરાતીઓએ હાલ પુરતુ કાશ્મીર જવાનુ ટાળી રહ્યાં છે. એક ટુર ટ્રાવેલ્સ એજન્ટે જણાવ્યું કે, મંગળવારે અમદાવાદથી કાશ્મીર જવા માટે ૨૦ જણાંનુ ગુ્રપ રવાના થવાનુ હતું પણ હુમલા બાદ આ તમામે કાશ્મીર ટુર પેકેજ જ રદ કરાવી દીધા છે. ગુજરાતમા અન્ય ટુર ઓપરેટરોનું પણ આ જ કહેવું છેકે, કાશ્મીર જવા ઇચ્છુક પ્રવાસીઓએ છેલ્લી ઘડીએ જવાનુ માંડી વાળ્યું છે પરિણામે હોટલ -વિમાની ટિકીટ કેન્સલ કરાવવી પડી છે. કેટલાંક ટુર ઓપરેટરોએ રસોઇયા-મેનેજરોને પણ કાશ્મીરથી પરત બોલાવી લીધા છે કેમ કે, હવે જયાં સુધી માહોલમાં શાંતિ નહી પ્રવર્તે ત્યાં સુધી ગુજરાતીઓ કાશ્મીર જવાનુ ટાળશે. ઉલ્લેખનીય છેકે, હજુય ૧૨૦૦થી વધુ ગુજરાતીઓ હાલમાં કાશ્મીર છે. ઘણાં અમરનાથ યાત્રાએ છે તો ઘણાં કાશ્મીરના પ્રવાસે પણ ગયા છે. આ તમામ ગુજરાતીઓ સલામત છે.
પાછલી પોસ્ટ