આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ સામે હોટલ કૌભાંડ મામલામાં કેસ નોંધાયા પછી સીબીઆઈએ દરોડાની કાર્યવાહી શરૂ કરતા બિહારની રાજનીતિમાં ગરમી આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમારે નાલંદાના રાજગીરમાં અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રી ચીફ સેક્રેટરી અંજની કુમારસિંહ, પ્રિન્સીપલ સેક્રેટરી હોમ આમીર સુબહાની, રાજ્યના ડીજીપી પીકે ઠાકુર સાથે બેઠક યોજી હતી.
બિહાર પોલીસ હેડક્વાર્ટર તરફથી સમગ્ર રાજ્યમાં કોઇપણ પ્રકારના વિરોધ પ્રદર્શન અને હિંસાની શંકાને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ મામલો શું છે તે અંગે વાત કરતા સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ કહ્યું હતું કે, રેલવે મંત્રીના ગાળા દરમિયાન રેલવેને બે હોટલોના મેઇન્ટેનન્સ માટે એક ખાનગી કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું. આના બદલામાં લાલુને ત્રણ એકર જમીન આપવામાં આવી હતી. આ ટેન્ડર ૨૦૦૪થી લઇને ૨૦૦૯ વચ્ચે ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશન મારફતે આપવામાં આવ્યા હતા, તે વખતે લાલુ પ્રધાન હતા. ૨૦૦૪-૨૦૧૪ વચ્ચે રચવામાં આવેલા આ કાવતરા માટે લાલુ અને અન્યો સામે પ્રવેન્શન ઓફ કરપ્શન એક્ટ ૧૯૮૮ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યોછે. અસ્થાનાએ કહ્યું હતું કે, મામલો કલમ ૧૨૦બી, કલમ ૪૨૦ અને ભ્રષ્ટાચારનો છે. સમગ્ર કાવતરાને લઇને ઉંડી તપાસ ચાલી રહી છે. આ કાવતરા હેઠળ પુરી અને રાંચી સ્થિત ભારતીય રેલવેના બીએનઆર હોટેલોના નિયંત્રણને પહેલા આઈઆરસીટીસીને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ મેઇન્ટેનન્સ, સંચાલન અને વિકાસનું કામ પટણા સ્થિત સુજાતા હોટલ પ્રાઇવેટ લિમિટેડને અપાયું હતું. સુજાતા હોટલના ફાયદા માટે ટેન્ડરની શરતો હળવી કરવામાં આવી હતી. આ બદલામાં પૂર્વીય પટણામાં ત્રણ એકર જમીનને ખુબ ઓછી કિંમત પર આપવામાં આવી હતી જે લાલુ પ્રસાદ યાદવના પરિવારના જાણકારની છે. મોડેથી લારા પ્રોજેક્ટને આને સોંપી દેવાઈ હતી જેના માલિક લાલૂના પરિવારના સભ્ય છે. ૩૨ કરોડની જમીન ૬૫ લાખ રૂપિયામાં આવી હતી. લારા પ્રોજેક્ટને આશરે ૬૫ લાખમાં સ્થળાંતર કરાયું હતું.
આગળની પોસ્ટ