ઉપલેટાથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે,દિલ્હીમાં કૃષિ કાયદાને લઈને 82 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આ કૃષિ કાયદા શું છે ? આ કાયદામાં કેવી જોગવાઈ છે ? અને જો આ કાયદા અમલમાં આવે તો ખેડૂતોને શું અસર થાય ? તેને લઈ ને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા મોટી પાનેલીમાં ગુજરાત કિસાન સભા દ્વારા એક ખેડૂત પરિસંવાદ યોજાયો હતો. જેમાં ઉપલેટા અને આસપાસના ખેડૂતોએ ભાગ લીધો હતો. આ પરિસંવાંદમાં ખેડૂતોને કેન્દ્ર સરકારના જે ત્રણ કૃષિ કાયદા અમલવારી કરવાની છે તે અંગે ખેડૂતોને આ કાયદા અંગે વિસ્તારથી સમજ આપવામાં આવી હતી, સાથે ગુજરાતમાં ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહયો હોવાનું ગુજરાત કિસાન સભા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ પરિસંવાદમાં ગુજરાતના કિસાનો અને ખેડૂતો ચાલી રહેલ આંદોલનમાં જોડાય અને તેઓનો અવાજ બુલંદ થાય તે માટે પણ પ્રયત્ન કરવામાં આવેલ હતો. આ પરિસંવાદનો કાર્યક્રમ મોટી પાનેલીના સહકારી મંડળીના ગોડાઉન ના મેદાન ખાતે યોજાયો હતો જેમાં ઉપલેટા ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, દિનેશભાઈ કંટારીયા, જામજોધપુર ખેડૂત આગેવાન હિતેનભાઈ ખાંટ, પાનેલી ગામના સરપંચ મનુભાઈ ભાલોડીયા સહિતનાઓએ પોતાના પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા તેમજ ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી તથા મોટી પાનેલીના જતીનભાઈ ભાલોડીયા સહિતના લડાયક આગેવાનો પણ ખેડૂતો સાથે ઉપસ્થિત રહ્યા હતા.