નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈને ફરી એક વખત પાકિસ્તાની તાલિબાની આતંકવાદીઓએ કથિત રીતે જીવથી મારી નાંખવાની ધમકી આપી છે. આજથી ૯ વર્ષ પહેલા મલાલા પર જીવલેણ હુમલો કરનારા આતંકવાદીએ ટ્વીટરના માધ્યમથી તેને ધમકી આપી હતી. આતંકવાદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, “આ વખતે કોઈ ભૂલ નહીં થાય.”
જો કે આ ધમકીભરી ટ્વીટ બાદ ટ્વીટરે પોસ્ટ અને તે એકાઉન્ટ બંનેને સ્થાયીરૂપથી ડિલીટ કરી દીધા છે. મલાલા યુસુઝઈએ પોતે જ ટ્વીટરના માધ્યમથી પોતાને મળેલી ધમકીની જાણ કરી હતી. આ સાથે જ તેણે પાકિસ્તાની સેનાના પ્રમુખ અને વડાપ્રધાન ઈમરાન ખાન બંનેને પોતાના પર હુમલો કરનારો આતંકવાદી એહસાનુલ્લાહ એહસાન કઈ રીતે સરકારી કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો તેવો સવાલ કર્યો હતો.
એહસાનુલ્લાહ એહસાનની ૨૦૧૭ના વર્ષમાં ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૨૦માં તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા રાખવામાં આવેલા તથાકથિત સુરક્ષિત ઘરમાંથી ભાગી ગયો હતો. એહસાનુલ્લાહ એહસાનની ધરપકડ અને તે ફરાર થઈ ગયો તે બંને ઘટનાઓને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો છે.
એહસાનુલ્લાહ એહસાન, પાકિસ્તાની તાલિબાન કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના એક લાંબા સમયના સદસ્ય તરીકે ઓળખાય છે. ધમકીભરી ટ્વીટમાં તેણે મલાલાને ઘરે પાછા આવવા કહ્યું હતું જેથી પોતે મલાલા અને તેના પિતા સાથેનો હિસાબ બરાબર કરી શકે. સાથે જ તેણે આ વખતે કોઈ ભૂલ નહીં થાય તેવી ચેતવણી પણ આપી હતી.
એહસાનુલ્લાહ પર ૨૦૧૪ના વર્ષમાં પાકિસ્તાની સેનાની શાળા પર થયેલા હુમલાનો આરોપ છે જેમાં ૧૩૪ બાળકોના મોત થયા હતા.