થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભારતીય લોકશાહીમાં મિડિયાને ચોથો સ્તંભ માનવામાં આવે છે. આજના સમયમાં અનુભવાયું છે કે ચૂંટણીમાં સફળતા માટે મિડિયામહત્વનો ભાગ ભજવે છે. આધુનિક ડિજિટલ યુગમાં ન્યુઝ પેપર, ટીવી ન્યૂઝ ઉપરાંત સોશ્યલ મિડિયામાં યુ ટ્યુબ, ટ્વીટર, ફેસબુક, વોટ્સએપ જેવા માધ્યમો ચૂંટણી જીતવા માટે મહત્વનો ફાળો આપે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ અને જીલ્લા કક્ષાએ મિડિયા સેલની રચના કરવામાં આવી છે જે અંતર્ગત મહેસાણા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ગૃહમંત્રી અને તાજેતરમાં નવનિયુક્ત મહામંત્રી રજની પટેલની અધ્યક્ષતામાં મિડિયા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર ઝોન મિડિયા ઇન્ચાર્જ ડૉ.હેમંત ભટ્ટ, કર્ણાવતી મહાનગર મિડિયા ઇન્ચાર્જ ડૉ.અમિત જયોતિકર, મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ જશુભાઈ પટેલ તેમજ મહેસાણા જિલ્લાના તમામ મંડલના મિડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહેસાણા જિલ્લા મિડિયા કન્વીનર લક્ષ્મણસિંહ રાજપૂત દ્વારા મંચસ્થ મહાનુભાવોઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જીલ્લાના સહ કન્વીનર ચંદુભાઈ પટેલ અને રાજુભાઇ કાંટાવાલા દ્વારા ભાજપના ખેસ દ્વારા મંચસ્થ મહાનુભાવોઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષણ વર્ગની શરૂઆતમાં જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલે સૌને આવકાર્યાં હતાં અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મિડિયાની ભૂમિકા અને અગત્યતા સમજાવી હતી. આજના પ્રશિક્ષણ વર્ગના આમંત્રિત વક્તા ડૉ.અમિત જયોતિકરે ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં નારદજી અને મહાભારતના દૂર દૃષ્ટા સંજયના ઉદાહરણ દ્વારા પત્રકારત્વ આપણી સંસ્કૃતિ સાથે વણાયેલુ હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે દરેક મોટા રાજકીય નેતાઓએ પોતાની કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે કરી હતી. એક સફળ પત્રકાર માટે ગ્રાઉન્ડ ઝીરોથી રીપોર્ટીંગનું મહત્વ સમજાવવાની સાથે ડૉ.અમિત જયોતિકરે ટાઈટલ, ન્યૂઝ વેલ્યુ, વિષય વસ્તુ પરની પકડ, મહત્વના મુદ્દાઓ વગેરે ટૉપિક ઉપર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગના મુખ્ય વક્તા ડૉ.હેમંત ભટ્ટે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના યુગમાં દરેક પત્રકારે આધુનિક ઉપકરણો કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોન જેવા માધ્યમો થકી ડેટા બેંક દ્વારા પોતાને દરેક ક્ષેત્રમાં તૈયાર રાખવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો, એ માટે જાણીતા પત્રકારોને યૂ ટ્યુબ તેમજ વેબસાઇટ ફોલો કરવા ઉપરાંત વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક જેવા સોશ્યલ મિડિયાના માધ્યમો દ્વારા માહિતી અને જ્ઞાનમાં વધારો કરવાની સાથે સાથે પોતાના વ્યક્તિત્વ વિકાસનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલ દ્વારા પાર્ટીના ” નેશન ફર્સ્ટ સિદ્ધાંત અનુસાર સૌ પત્રકારોને સત્યતા, વિશ્વસનીયતા અને સાતત્યપૂર્ણ પત્રકારત્વથી વ્યક્તિત્વ વિકાસ સાથે સામાજિક અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. સમગ્ર પ્રશિક્ષણ વર્ગ દરમિયાન મહેસાણા જિલ્લા મિડિયા કન્વીનર લક્ષ્મણસિંહ રાજપૂત, સહ કન્વીનરઓ ચંદુભાઈ પટેલ અને રાજુભાઇ કાંટાવાલા દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)