સીદસર મોડેલ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકારતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એન.જી.વ્યાસે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કોરોનાની તીવ્રતા દિવસે ને દિવસે ઘટતી જાય છે અને આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાવાની છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લાં વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તેના ભાગરૂપે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને આવકારીને શ્રી વ્યાસે શૈક્ષણિક કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આજથી સમગ્ર રાજ્યમાં આ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભારંભ થઇ રહ્યો છે. શ્રી એન.જી.વ્યાસે જણાવ્યું હતું કે “શાળાઓમાં સલામતી સાથે શિક્ષણ કાર્ય થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એસ.ઓ.પી.માં દર્શાવેલ દિશા નિર્દેશો મુજબ જ રાજ્યની તમામ શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના મહામારીમાં ૧૦ મહિના ઘરે બેસીને શિક્ષણ મેળવી બાળકો દ્વારા જે તપસ્યા કરવામાં આવી છે તેને ઉત્કૃષ્ટ પરિણામમાં બદલવાનો સમય પાકી ગયો છે જે આવનારી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં જોવા મળે તેવા જિલ્લા શિક્ષણાધિકારીએ સૌ બાળકોને શુભેચ્છા સહ અભિનંદન આપ્યા હતા. સાથે સાથે શાળા સંચાલકોને પણ સેનિટેશન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવા-કરાવવા તાકીદ કરી હતી. આજથી ઉપરોક્ત વિદ્યાર્થીઓ માટે જ્યારે શાળાઓ શરૂ થઇ રહી છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ તથા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પાંડેએ નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય તેમજ સરદાર નગર ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને શિક્ષણ આરંભ પ્રસંગે આવકાર્યા હતા અને પ્રેરક ઉદબોધન દ્વારા તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
(તસવીર / અહેવાલ : સુરેશ ત્રિવેદી, ભાવનગર)
આગળની પોસ્ટ