ભગવત કૃપાથી હિન્દુ સમાજના ૪૯૨ વર્ષના પ્રદીર્ધ અને સાતત્યપૂર્ણ સંઘર્ષ પછી શ્રી રામ જન્મભૂમિ – અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાનું ભવ્ય મંદિર નિકટ ભવિષ્યમાં સાકાર થશે. હિન્દુ ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક સમાન આ મંદિર વાસ્તુ કલામાં પણ અદ્રિતિય હશે. દેવોને પણ દુર્લભ તેવી ભગવાનની જન્મ ભુમિ પર નિર્માણ પામનાર આ ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ હેતુ આગામી મકરસંક્રાંતિથી માઘપૂર્ણિમા અર્થાત દિનાંક ૧૫/૦૧/૨૦૨૧ થી ૨૭/૦૨/૨૦૨૧ સુધી સંપુર્ણ દેશમાં ૪ લાખ ગામોમાં ૧૩ કરોડ પરિવારોને જોડવાના ભવ્ય લક્ષ્ય સાથે ‘‘વ્યાપક નિધિ સમર્પણ અભિયાન’’ વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘ વિચારની સંસ્થાઓ દ્વારા ચાલવવામાં આવનાર છે. આ અભિયાનના સંચાલન હેતુથી “શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ” વિરમગામ મધ્યસ્થ કાર્યાલયનો રવિવારે શુભારંભ કરવામાં આવ્યો છે. વિરમગામ ખાતે એસ.બી.આઇ. બેંકની પાસે “શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ” વિરમગામ તાલુકા તથા જીલ્લાના મધ્યસ્થ કાર્યાલયનો રામમહેલ મંદિરના મહંત પરમ પુજ્ય શ્રી રામકુમારદાસજી બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પુજ્ય રામકુમારદાસ બાપુ, “શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ” વિરમગામ જીલ્લા સંયોજક હિતેન્દ્રસિંહ વાઘેલા, “શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ” વિરમગામ તાલુકા સંયોજક ભુપેન્દ્રભાઇ પટેલ સહિત રામભક્ત ભાઇઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૈત્ર સુદ ૬-૭ વિક્રમ સંવત ૨૦૪૦ (૭-૮ એપ્રિલ, ૧૯૮૪)ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બ્રહ્મલીન જ્યોતિષ પીઠાધીસ્વર જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શતાનંદજી મહારાજની અધ્યક્ષતામાં આયોજીત પ્રથમ ધર્મસંસદમાં ઉપસ્થિત, ૭૬ પંથ – સંપ્રદાયોના પૂજ્ય પ૫૮ ધર્માચાર્યોએ એક જ સુરે પ્રસ્તાવ પાસ કરી, શ્રી રામજન્મભૂમિ હિંદુઓને પરત આપવા આદેશ કર્યો હતો. સંતોના આ આહવાનને સંઘ વિચાર પરિવારના લાખો કાર્યકર્તાઓએ હિંદુસ્તાનના ઘરે ઘરે પહોંચાડી, હિંદુ સ્વાભિમાન જાગ્રત કરી, એક અભૂતપૂર્વ સફળ “શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ આંદોલન” બનાવ્યું અને પરિણામ સ્વરૂપ દેશનાં યશસ્વી પ્રધાનમંત્રી દ્વારા ભવ્ય મંદિર નિર્માણ હેતુ પૂજન પણ સંપન્ન કરવામાં આવ્યુ છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)