નર્મદા જિલ્લામાં તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ નાં રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીપંચની સૂચના અને માર્ગદર્શિકા મુજબ મતદાનનાં દિવસે તા.૯/૧૨/૨૦૧૭ ના રોજ તેમજ મતદાનના એક દિવસ અગાઉ તા.૮/૧૨/૨૦૧૭ ના રોજ કોઇપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર દ્વારા પ્રિન્ટ મિડીયામાં જાહેરાત આપતાં પહેલા જિલ્લાની મિડીયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમીટી (MCMC) સમક્ષ તેને પ્રમાણિત કરાવીને MCMC કમીટીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે અને આવું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ જે તે જાહેરાત પ્રસિધ્ધિ માટે આપવાની રહેશે. MCMC કમીટીનું પ્રમાણપત્ર મેળવ્યા વિનાં ઉક્ત દિવસોમાં ચૂંટણીલક્ષી રાજકીય જાહેરાત પ્રસિધ્ધ કરી શકાશે નહિં, જેની નોંધ લેવા અને ચૂંટણીપંચની ઉપરોક્ત સૂચનાનું ચૂસ્તપણે પાલન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી, નર્મદા તરફથી જણાવાયું છે.