વિસનગર તાલુકાના તરભ ગામના સમસ્ત રબારી ભરવાડ સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા વાળીનાથ અખાડાના મહંતશ્રી અને રબારી સમાજના ધર્મગુરૂ શ્રી બળદેવગીરી મહારાજે ગુરુવાર સાંજે ૭ કલાકે અંતિમ શ્વાસ લીધાં હતાં. બાપુ દેવલોક પામતા સમગ્ર માલધારી સમાજ તેમજ વિસનગર તાલુકા અને તરભ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને બાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી ઉપરાંત મંદિરનાં લઘુ મહંતશ્રીને ફોન કરી દિલસોજી પાઠવી હતી. કેન્દ્રય ગૃહમંત્રી અમિત શાહે પણ મહંતશ્રીના દુઃખદ અવસાન નિમિત્તે ટવીટ કરીને મહંતશ્રીને શ્રધ્ધાંજલિ આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાના શોક સંદેશામાં જણાવ્યું હતું કે સમગ્ર રબારી સમાજના ધર્મગુરૂ બળદેવગીરી બ્રહ્મલીન થયાનાં સમાચાર સાંભળી શોકમગ્ન છું, પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ સદ્ ગતિ અર્પે અને ભકતગણને આ દુઃખ સહન કરવાની શકિત બક્ષે એ જ પ્રાર્થના. રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલે પૂજય બળદેવગીરી બાપુને શત શત પ્રણામ સાથે શ્રધ્ધાંજલી પાઠવી હતી. મહેસાણા જીલ્લાના સાંસદ શારદાબેન પટેલ તેમજ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે મહંતશ્રી બળદેવગીરી બાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. મહંતશ્રીના પવિત્ર પાર્થિવ દેહને આજે મંદિર પરિસરમાં દર્શનાર્થે મૂકવામાં આવતા રબારી સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મહેસાણા જિલ્લાના મેવડ ગામના વતની એવા પૂજય બળદેવગીરી બાપુએ ૧૨ વર્ષની નાની ઉંમરે ગુરુ ગાદીની જવાબદારી સંભાળી હતી. ઉપરાંત રબારી માલધારી સમાજમાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે આમોલ પરિવર્તનની સાથે સાથે મંદિર સ્થાનકનો ઉત્તરોત્તર વિકાસ કરવામાં મોટું યોગદાન આપ્યું હતું . બ્રહ્મલીન મહંતશ્રીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. બપોરે શોભાયાત્રા બાદ મહંતશ્રીના પાર્થિવ દેહને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અખાડા પરીસરમાં સમાધી આપવામાં આવી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)