છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસકાલ ગામે એક કમકમાટીભર્યો અકસ્માત થયો છે. આ અકસ્માતને પગલે બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થતા કુલ ૩ યુવકોના મોત થયા છે. રાઠવા સમુદાયના મોતના પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે નાનકડા ગામમાં ત્રણ-ત્રણ આશાસ્પદ યુવકના મોતથી ગમગીની છે.
બનાવની વિગત એવી છે કે પાવીજેતપુર તાલુકાના સુસકાલ ગામે રાત્રીના સમયે બે બાઇક ચાલકો સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બૈડવી ગામના રાજેટ હટુ રાઠવા અને સુરખેડા ગામના મહેશ રાઠવાના ઘટનાસ્થળે મોત થયા હતા.
અકસ્માતમાં મોટરસાયકલનો કચ્ચરઘાણ વળી જતા લોહિના ખાબોચીયા ભરાઈ ગયા હતા જ્યારે એક યુવકને સારવાર માટે વડોદરા હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
હૉસ્પિટલમાં સારવાર દરમિયાન જયદીપ રાઠવાનું મોત થયું હતું. આ યુવકન પણ સૂરખેડાનો વતની હતો.અકસ્માતમાં હજુ એક યુવક સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે. બૈજવી ગામના અનિલ રાઠવાની તબિયત નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવકની વડોદરા એસેસજી હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે.પોલીસે મૃતક યુવકોના પોસ્ટમોર્ટમ કરાવી અને ઘટનાની તપાસ શરૂ કરી છે.
રાત્રિના અંધકારમાં આ અકસ્માત કેવી રીતે થયો તેની વિગત ઇજાગ્રસ્ત અનિલ રાઠવાના નિવેદન પરથી જ જાણી શકાય તેમ છે પરંતુ અત્યારે ત્રણ પરિવારોના કુળદીપક ઓલવાઇ ગયા છે.
પાછલી પોસ્ટ