કોરોના મહામારીએ વિશ્વ આખાને પોતાના ભરડામાં લીધું છે. આ વાયરસને કારણે અનેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે, આવા સમયે આરોગ્યલક્ષી સેવા લોકોને વધુમાં વધુ સારી રીતે આપી શકાય એ માટે સરકાર પ્રયત્નશીલ છે. આ માટે સરકારનું વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર સતત ખડેપગે સેવારત છે. આવા સમયે જાહેર જનતાને ઝડપી અને સારી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે એવા ઉમદા હેતુથી મહેસાણા જિલ્લાના રાજ્યસભાના સાસંદ જુગલજી લોખંડવાલા તરફથી તેમની ગ્રાન્ટમાંથી ૧૧ લાખની એમ્બ્યુલન્સ વાનની મહેસાણાવાસીઓને ભેટ આપી હતી. આ એમ્બ્યુલન્સ વાનનું પ્રસ્થાન જુગલજી લોખંડવાલા તથા મહેસાણા નગરપાલિકાના પ્રમુખ નવીન પરમાર તથા મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ જશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ જુગલજીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના સ્વપ્ન મુજબ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ વિચારધારાને અનુરૂપ કોઈ પણ જાતના ભેદભાવ કે પક્ષા-પક્ષી સિવાય લોકોને વધુ સારી સુવિધા આપવાના ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતને અનુસરીને આજે મહેસાણા નગરપાલિકાને શહેરીજનો તથા આજુબાજુના ગામના લોકો માટે આજે ૧૧ લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ વાન લોકોની સુખાકારી માટે આપવામાં આવી છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)