જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવન મંત્ર બનાવનાર પૂજય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મ જયંતી છે. વહેલી સવારથી જ પૂજ્ય જલારામ બાપાના ભક્તજનો વીરપુર પૂજ્ય બાપાની જન્મ જયંતી ઉજવવા દર વર્ષેની જેમ બાપાની જન્મ જયંતી નિમિત્તે બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દેશ વિદેશથી વાહનો, સાયકલ મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચ્યા છે. વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી,પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા પૂજ્ય બાપાની સમાધીએ પુજા અર્ચના કરી પૂજ્ય જલારામ બાપાનું મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું હતું. બાપાના દર્શન કરવા માટે દર્શનાર્થીઓને મોંઢે માસ્ક તેમજ સેનેટાઇઝની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ જલારામ ભક્તો દ્વારા વહેલી સવારથી જ ભજન, ધૂન કરતા કરતા બાપાના દર્શન કર્યાં હતાં. આ વર્ષે કોરોનાની મહામારીને લઈને મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ લોકોને પોતપોતાના ઘેર જ રહીને પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતી ઉજવવા અનુરોધ કર્યો છે સૌ ભક્તોએ મંદિરે પહોંચી પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી નવું વર્ષ કોરોના મુક્ત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી.
(અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર / વિડિયો :- રાજન ભખોત્રા, જેતપુર)