શિક્ષણમાં સૌથી મહત્વની બાબત ગુણવત્તા છે. શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અભ્યાસના આરંભ થી અંત સુધી જળવાઇ રહે તે ખૂબ જ જરૂરી છે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે રૂપિયા ૨૪ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર રિઝલ્ટ પ્રોસેસીંગ સેન્ટરના નવીન મકાનનું શિલાન્યાસ કરતાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. શિલાન્યાસ કર્યા બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા જળવાઇ રહે તેનું ઉમદા કાર્ય કરવાની જવાબદારી આપણા સૌની છે. ગુણવત્તા હશે, તો જ સમાજમાં સારા વ્યક્તિત્વનું ધડતર કરી શકીશું. સમગ્ર દેશમાં ગુજરાત રાજયમાં શિક્ષણ ક્ષેત્રે રહેલી ગુણવત્તાની નોંધ લેવામાં આવી છે.
શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કારણે શાળા-કોલેજોની પરીક્ષા અધુરી રહી ગઇ હતી. લોકડાઉનના કારણે દેશની અનેક સંસ્થાઓ પોતાની પરીક્ષાનું સુચારું આયોજન કરી શક્યા ન હતા. તેવા સમય દરમ્યાન રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરીને પરીક્ષા યોજવામાં આવી હતી. તેમજ દર વર્ષે અપાતા બોર્ડનું પરિણામ માત્ર અઠવાડિયા જેટલા સમય જ મોડું અપાયું છે. શિક્ષણ એ લાંબી અને ધીમી પ્રક્રિયા છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, આ સેન્ટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સમગ્ર રિઝલ્ટની કાર્યવાહી એક જગ્યાએથી થશે. તેમજ તેનો ફાયદો આગામી ટુંકા સમયમાં આપણેને અનુભવ થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે રિઝલ્ટ પ્રોસેસીંગ સેન્ટરના પંડિત દિનદયાળ પરીક્ષા ભવનના નવીન મકાનનું નિર્માણ કરવામાં આવનાર છે. આજરોજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નવનિર્માણ પામનાર મકાનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ નવનિર્માણ પામનાર ભવનના પ્લાનીંગની બારીકાઇથી માહિતી મેળવી હતી. આ પ્રસંગે માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહે આભારવિધી કરી હતી. આ પ્રસંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ ર્ડા. વિનોદ રાવ સહિત મહાનુભાવો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આગળની પોસ્ટ