પંચમહાલ જીલ્લામાં શિયાળાની ધીમે પગલે શરૂઆત થઈ ગઈ છે. સવારના પહોરમાં ગાઢ ધુમ્મસનો અહેસાસ જીલ્લાવાસીઓને થઈ રહ્યો છે. શિયાળો એટલે શરીરને તંદુરસ્ત બનાવવાની સિઝન કહેવાય છે. કસરતની સાથે શિયાળામાં મળતા વિવિધ ફળો પૈકી શરીર માટે સ્વાસ્થયવર્ધક ગણાતા શિંગોડાનું બજારમાં આગમન થઇ ગયું છે. પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા તળાવોમાં પણ શિંગોડાની ખેતી કરવામાં આવે છે. વધુમાં અન્ય રાજ્યોમાથી શિંગોડા બજારોમાં આવે છે તેવું વેપારીઓનું કહેવું છે. હાલ ૮૦ રૂપિયાના કિલોના ભાવે શિંગોડા વેચાઇ રહ્યા છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા તેમજ તાલુકા મથકોનાં બજારમાં હાલ આરોગ્ય વર્ધક ગણાતા શિંગોડાના ફળનું આગમન થઇ ચૂકયુ છે. શિંગોડાની ખેતી હોળીના સમયથી શરૂ થાય છે. શિંગોડાના વેલાને મૂળ ૫ થી ૭ ફૂટ તળાવનાં ઉંડા પાણીમાં ડૂબકી મારીને પગનાં અંગુઠાથી રોપવામાં આવે છે ત્યારબાદ તળાવમાં ઉપર તરતી અશુદ્ધિનું નિંદામણ કરવામાં આવે છે. શિંગોડાના વેલા તળાવનાં પાણીમાં તરતા રહે છે. સપ્ટેમ્બર મહિનામાં આ વેલા પર સફેદ રંગના ફુલ આવે અને પછી ફળ બેસવાની શરૂઆત થાય છે. આછા ગુલાબી અને લીલા રંગની છાલવાળા ત્રિકોણ આકારના શિંગોડા ફળનાં બે છેડે અણીદાર કાંટા હોય છે. આ ફળને તોડીને ગરમ પાણીમાં ઉકાળીને વેચવામાં આવે છે, તેનામાં હિરાકણીનો કાળો પાવડર નાંખવામાં આવે છે આથી શિંગોડાનું પડ કાળા રંગનું થતું હોય છે. આમ આ બાફેલા શિંગોડા બજારમાં વેચાવા માટે જાય છે. શિંગોડાનો ૧ કિલોનો રૂ.૮૦ ભાવ બોલાય છે જ્યારે કાચા શિંગોડાનો ભાવ રૂ.૧૬૦૦નાં મણ (૨૦ કિલો) પ્રમાણે વેચવામાં આવે છે. શિંગોડાનો પાક ચાર મહિના (શિયાળામાં) થાય છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં પણ ગ્રામીણ વિસ્તારોમાં આવેલા તળાવોમાં શિંગોડાની ખેતી કરવામાં આવતી હોય છે. મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાંથી પણ શિંગોડાના ફળની આયાત થતી હોય છે તેવું વેપારીઓનું કહેવું છે. શિંગોડા આરોગ્યની દૃષ્ટિએ લાભકારક ફળ ગણવામાં આવે છે. શિંગોડામાં ખનીજ, કાર્બોહાઈટ્રેડ જેવા પૌષ્ટીક તત્વો જેવા કુદરતી ગુણો હોવાથી તેના સેવનથી શરીર માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)