રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સ્મશાન રોડ પર આવેલ ખ્વાજા નગર વિસ્તારમાં અનેક જાતની સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. છેલ્લા દોઢ માસથી પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા સિમેન્ટના મોટા પાઈપ ખાડા કરીને મુકવામાં આવ્યા છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતની નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને લઇને આજરોજ ખ્વાજા નગરના રહીશો દ્વારા પોતાનો અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખ્વાજા નગરના રહીશો દ્વારા નિંભર પાલિકા તંત્રને જગાડવા માટે થાળી ચમચી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એક બાજુ કોરોના મહામારી અને બીજી બાજુ ઉભરાતી ગટરોના ગંદા પાણી રસ્તા ઉપર ભરાય છે જેને લઇને લોકો બહાર જઇ શકતા નથી. નમાઝ પઢવા જવા માટે પણ કપડા ગંદા થઈ જાય છે જેને લઇને મસ્જિદમાં નમાઝ પઢવા દેવામાં આવતી નથી. મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે. રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે એ પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યા છે જેમાં નગરપાલિકા તંત્ર દ્વારા એક પણ પૈસાનો ખર્ચ આ વોર્ડ નંબર ૯ ના ખ્વાજા નગર વિસ્તારમાં કરવામાં આવ્યો નથી. ખબર નથી પડતી કે આ ખ્વાજા નગર વિસ્તાર ક્યા વિસ્તારમાં આવે છે એ જ નક્કી નથી થતું. આ વોર્ડ નં. ૯ના નગર પાલિકાના સદસ્યો, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખને પણ લેખિત અને મૌખિકમાં અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. છેલ્લાં દોઢ માસથી એમને એમ ખાડાઓ મૂકીને જતા રહ્યા છે. પાલિકા તંત્રને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડીને જતો રહ્યો છે. નવો કોન્ટ્રાક્ટર આવશે ત્યારે આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે એવો ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યો છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)