તાજેતરમાં વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિની બેઠક અધ્યક્ષ અને કલેકટર પી.ભારતી દ્વારા યોજવામાં આવી હતી. તેમણે પૂર્વ સૈનિકો અને સદગત પૂર્વ સૈનિકોની ધર્મપત્નીઓ તેમજ આશ્રિતોને મળવાપાત્ર પેન્શન સહિતના તમામ લાભો સમયસર અને મુશ્કેલી વગર મળે તેની કાળજી લેવા તાકીદ કરી હતી. પૂર્વ સૈનિકોના કલ્યાણ અને સુવિધાજનક પુર્નવસવાટ માટે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ કચેરી, વડોદરાના અધિકારી વીંગ કમાન્ડર અરૂપકુમાર રોય (નિવૃત્ત) એ જણાવ્યુ હતું કે, કચેરીમાં સોફ્ટવેર વસાવવામાં આવ્યુ છે જેની મદદથી પૂર્વ સૈનિકો અને સદગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને મળવાપાત્ર પેન્શનની ગણતરી કરી શકાશે. બેઝીક પેન્શન જાણવા સંબંધિતોને તેમના પેન્શન પેમેન્ટ ઓર્ડરની કોપી સાથે કચેરીનો સંપર્ક કરવા જણાવાયુ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, તેમની કચેરી દ્વારા પૂર્વ સૈનિકોને ખેતીવાડીના કૂવા માટે અગ્રતાક્રમે વીજ જોડાણ મેળવવા માટે જરૂરી યોગ્યતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.બેઠકમાં જણાવવામાં આવ્યુ હતું કે, અમદાવાદ અને વડોદરા ખાતે ગૌરવ સેનાની કુમાર ભવનનું સંચાલન કરવામાં આવે છે. જેમાં વહેલો તે પહેલોના ધોરણે આઠમા ધોરણથી કોલેજ કક્ષા સુધીનું શિક્ષણ મેળવતા પૂર્વ સૈનિકો તેમજ પૂર્વ સૈનિકોના સંતાનોને ભોજન અને નિવાસની સુવિધા આપવામાં આવે છે. આ સુવિધાનો લાભ શહેર બહાર વસતા પૂર્વ સૈનિકોને મળવાપાત્ર છે. વડોદરાના છાત્રાવાસમાં ૨૧ બેઠકો ઉપલબ્ધ છે. રૂા. ૨ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પૂર્વ સૈનિકો/સ્વ.પૂર્વ સૈનિકોના સંતાનોને આ સુવિધા વિનામૂલ્યે અને તેનાથી વધુ આવક હોય તો ૫૦ ટકા માફીના ધોરણે મળી શકે છે.