પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સદનપુર ગામમાં પરિણીતાને ખાવાનું બનાવતા આવડતું નથી તેમજ ઘરકામ બાબતે અવારનવાર મ્હેણાટોણા તેના પતિ દ્વારા મારવામાં આવતા સાથે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા પરિણીતાએ ઘરના મોભ પર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવને લઇને પરિણીતાના પીયર પક્ષના પરિવારજનોએ પતિની સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોેંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગામના હંસાબેનના લગ્ન સદનપુર ગામે પ્રવિણસિંહ પગી સાથે ૧૮ વર્ષ પહેલા થયા હતા. પ્રવિણ અને મૃતક હંસાબેનને ત્રણ બાળકો છે. સમય જતા પ્રવિણસિંહે પોતાનું પોત પ્રકાર્યું હતું. તને ખાવાનું બનાવતા આવડતું નથી તેમ કહી પ્રવિણસિંહ અવારનવાર હંસાબેનને માનસિક અને શારિરીક ત્રાસ આપતો હતો જેના કારણે હંસાબેન રિસાઇને પોતાના પિયર મંગલિયાણા આવતા રહેતા હતા. ઘરસંસાર ન બગડે તે માટે સમાજના અગ્રણીઓ પંચકરાર કરીને સમજાવટ બાદ મોકલી ફરી સાસરે હંસાબેનને મોકલી આપ્યા હતાં છતાં પણ પ્રવિણે હંસાબેનને ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું, છેવટે ત્રાસ વધી જતા હંસાબેને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ હંસાબેનના પિયરીયાઓને થતા તેઓ સદનપુર દોડી આવ્યા હતા. હંસાબેનના પરિવારજનોનો આક્ષેપ હતો કે તેમની પુત્રીને મારી નાંખવામાં આવી છે. પિયર પક્ષમાં પણ શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.પરિણીતાની આત્મહત્યાના કારણે બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી. બનાવની જાણ શહેરા પોલીસને કરતા પીએસઆઈ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે જઈ લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે શહેરા ખાતે ખસેડ્યા હતાં.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)