ભાવનગરથી ૨૦ કિલોમીટર દૂર આવેલ ઘોઘા વર્ષો પહેલા ધમધમતું બંદર હતું. આ ઘોઘા અનેક ઇતિહાસો સંઘરીને બેઠું છે એક જમાનામાં આ બંદર ઉપર ધમધમતો વેપાર શરૂ હતો. ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં બંદરીય વેપારનો યુગ શરૂ થયો હતો ત્યારે રાજ્યની આવક વધારવા ગોહિલ વંશના રાજા મોખડાજીએ ઉમરાળા થી ઘોઘા ગાદી ફેરવી પીરમબેટ પર લશ્કરી થાણું નાખ્યું હતું. દિલ્હીના સુલતાને ઘોઘા પર ચઢાઇ કરી જીતી લીધું હતું, એ યુગમાં ઘોઘા મધ્યમ કક્ષાનું બંદર હતું. સૌરાષ્ટ્રના અંદરના ભાગમાં અહીંથી માલ સામાન જતો એ જ રીતે ઘોઘા બંદર થી આરબ, લંકા અને અન્ય દેશોમાં વહાણો જતાં હતાં. ભાવનગરની સ્થાપના થતાં ઘોઘા બંદરનો વેપાર ભાવનગરના બંદરથી શરૂ થયો હતો. આ દરિયા ફરતી રજવાડાએ સુરક્ષા માટે મોટી દિવાલ બનાવી હતી. આ દીવાલની સાથે જ્યારે અમાસ અને પુનમમાં મોટી ભરતી આવે ત્યારે દરિયાનું પાણી ગામમાં પ્રવેશશે નહીં અને ગામના લોકો તકલીફ પડે નહીં તે માટે દિવાલ બનાવી હતી પરંતુ ૨૦ થી ૨૫ વર્ષથી આ દીવાલ પડી ભાંગી છે, જમીનદોસ્ત થઇ છે અને પૂનમ અને અમાસની ભરતીમાં પાણી ઘોઘા ગામની અંદર આવી જાય છે, ક્યારેક લોકોને ઘરમાંથી બહાર નીકળી મુશ્કેલ બની જાય છે, ઘરમાં પાણી ભરાઈ જતા હોવાથી અહીંના સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘોઘાના સરપંચ અને લોકોનું કહેવું છે કે સરકાર ભાવનગર કલેકટર અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ આ બાબતે પગલા લઇ નવી દિવાલ બનાવે અને દરિયાનું પાણી ઘોઘા ગામમાં આવે છે તેને અટકાવે અને રોગચાળો અને પાણીજન્ય રોગોથી ગામના લોકોને બચાવે તેવી ગામલોકોને માંગણી છે.
( અહેવાલ / વિડિયો :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)