સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી આત્મારામભાઇ પરમારે જણાવ્યું છે કે રાજ્યના નિરાધાર વૃદ્ધો તથા વિકલાંગોને કેન્દ્ર પુરસ્કૃત પેન્શન યોજના દ્વારા પૂરેપૂરી સહાય સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેકનોલોજીના માધ્યમ દ્વારા લાભાર્થીના ખાતામાં સહાય સીધી જમા થાય તેનો શુભારંભ કર્યો છે. જે સમગ્ર દેશમાં અમલ કરતાં ચાર રાજ્યો પૈકી ગુજરાત પ્રથમ ક્રમે રહ્યુ છે. તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકારના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રામ દયાલ યાદવના અધ્યક્ષસ્થાને ગ્રામીણ વિકાસ વિભાગ હેઠળની વિવિધ યોજનાના અમલીકરણમાં અગ્રેસર રાજ્યો, વ્યક્તિઓના એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. રાજ્ય સરકાર વતી તાજેતરમાં સમાજ સુરક્ષા નિયામકશ્રીએ નવી દિલ્હી ખાતે આ શિલ્ડ અને પ્રમાણપત્ર સ્વીકાર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) હેઠળ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રિય વૃદ્ધ પેન્શન યોજના અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના હેઠળ રાજ્યના ૪૩,૬૦,૦૦ જેટલા લાભાર્થીઓને ૧૦૦ ટકા ડી.બી.ટી. મારફતે પેમેન્ટ કરવામાં આવે છે. જે અંતર્ગત ડી.બી.ટી.નું સફળતાપૂર્વક અમલીકરણ કરનાર લક્ષદ્રીપ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત મળી કુલ ચાર રાજ્યો પૈકી ગુજરાત પ્રથમ ક્રમે રહ્યુ છે.