એક દુર્લભ ઘટનામાં સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાને જ નોટિસ ફટકારી છે. કોર્ટ ઉત્તર પ્રદેશના કેટલાક ન્યાયિક અધિકારીઓની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી કોલેજિયમ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટ માટે તેમના નામની ભલામણ નહીં કરવા અંગે સવાલો કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) શરદ અરવિંદ બોબડેએ કહ્યું હતું કે, મેં મારા જીવનમાં કોઈને સુપ્રીમ કોર્ટમાં આવીને કહેતા નથી જોયા કે મને હાઈકોર્ટનો ન્યાયાધીશ બનાવી દો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ અરજી દાખલ કરે છે અને કહે છે કે તેને હાઇકોર્ટનો ન્યાયાધીશ બનાવવો જોઇએ તે ખૂબ જ અન્યાયી છે. ખંડપીઠે કહ્યું હતું કે કોઈ પણ તે બનવા માંગે છે એમ કહીને હાઇકોર્ટના ન્યાયાધીશ બની શકશે નહીં. જોકે, ખંડપીઠે આ અરજીની સુનાવણી માટે સંમતિ આપી હતી અને તેના મહાસચિવ, કેન્દ્ર અને અન્ય લોકોને નોટિસ ફટકારી હતી. ખંડપીઠે આ મામલે પુનર્વિચારણા માટે દાખલ કરેલી અરજી પર ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
નોટિસ ઇશ્યુ કર્યા પછી ચીફ જસ્ટિસએ ટિપ્પણી કરી હતી કે, આ એક સંપૂર્ણપણે નવી વાત છે. મને નથી લાગતું કે કોઈએ અહીં આવીને કહેવું જોઈએ કે મારી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવી જોઈએ. ખંડપીઠે કહ્યું કે, હું બનવા માંગું છું તેમ કહીને તમે હાઈકોર્ટના ન્યાયાધીશ બની શકતા નથી. અમે તેને ખૂબ જ અયોગ્ય માનીએ છીએ કે કોઈ અરજી દાખલ કરે અને કહે કે મને હાઈકોર્ટનો ન્યાયાધીશ બનાવવો જોઈએ. સાત અરજદારોમાં એક ઉત્તરપ્રદેશના નિવૃત્ત ન્યાયિક અધિકારી છે.