ચીનની વધતી જતી દાદાગીરી સામે ભારત જ નહીં દુનિયાના બાકી દેશોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે. હવે ચીન સામે શિંગડા ભેરવનાર તાઈવાન અને તિબેટિયનોના ધર્મગુરુ દલાઈ લામાએ પણ હાથ મિલાવ્યા છે.દલાઈ લામા અને બીજા તિબેટિયનોનો ભારતે આશ્રય આપ્યો છે.ચીન સામે મોરચો માંડવા માટે દલાઈ લામા આગામી વર્ષે તાઈવાનની મુલાકાત લેવા માટે ઈચ્છુક છે. દલાઈ લામાએ આજે જાહેરાત કરી હતી કે, તાઈવાનના એક સંગઠને આપેલા આમંત્રણ બાદ હું આગામી વર્ષે તાઈવાનની યાત્રા માટે ઈચ્છુક છું. બીજી તરફ તાઈવાને કહ્યુ છે કે, દલાઈ લામા દુનિયાના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ છે અને તેમને નોબેલ પીસ પ્રાઈઝ મળેલુ છે.દલાઈ લામાના સમર્થકો તાઈવાનમાં પણ છે અને તેઓ ઈચ્છે છે કે, દલાઈ લામા ઉપદેશ આપવા માટે તાઈવાનની મુલાકાત લે. તાઈવાન સરકારના પ્રવક્તાએ ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષમાં શહીદ થયેલા તિબેટના એક સૈનિકને શ્રધ્ધાંજલિ પણ આપી હતી અને દુખ વ્યક્ત કર્યુ હતુ.આ પહેલા દલાઈ લામા છેલ્લે ૨૦૦૯માં તાઈવાન ગયા હતા.જોકે શી જિનપિંગે ચીનમાં સત્તા સંભાળ્યા બાદ તેઓ તાઈવાન પહેલી વખત જશે.