કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ ભાજપમાં જોડાવાની સલાહ આપી છે. અઠાવલેએ કહ્યું કે, આઝાદ અને સિબ્બલ પર રાહુલ ગાંધી ભાજપ સાથે મિલીભગતના આરોપ લગાવાયા છે. એટલા માટે બન્નેએ જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જવું જોઈએ. નરેન્દ્ર મોદી સરકારમાં સામાજિક ન્યાય મંત્રી અઠાવલેએ કહ્યું કે, જો આઝાદ અને સિબ્બલનું કોંગ્રેસમાં અપમાન થઈ રહ્યું છે, તો તેમને નિર્ણય કરી લેવો જોઈએ.જે લોકોએ કોંગ્રેસને ઉભી કરી છે, એમની પર આરોપ લગાવીને રાહુલ ગાંધી ખોટું કરી રહ્યા છે.
એનડીએ સરકાર આગળ પણ સત્તામાં રહેશે. આગામી પેટાચૂંટણીમાં ૩૫૦ બેઠકો મળવાની આશા છે. ભાજપ સામાન્ય લોકોની પાર્ટી છે. તમામ જાતિ, વર્ગ અને ધર્મના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આઝાદ અને સિબ્બલ કોંગ્રેસના એ ૨૩ નેતાઓમાં સામેલ છે, જેમણે પાર્ટીમાં ફેરફારોની માંગ કરતો સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. ૨૪ ઓગસ્ટે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં પણ આ મુદ્દે હોબાળો થયો હતો. બેઠક વચ્ચે સમાચાર આવ્યા કે રાહુલ ગાંધીએ ચિઠ્ઠી લખનાર નેતાઓ પર ભાજપ સાથએ મિલીભગતનો આરોપ લગાવ્યો છે.
આઝાદ અને સિબ્બલે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ પછીથી બન્નેએ કહ્યું કે, રાહુલે મિલીભગત જેવી કોઈ વાત કહી નથી. આઝાદે વર્કિંગ કમિટિની બેઠકના ૩ દિવસ પછી એટલે કે ૨૭ ઓગસ્ટે ફરીથી પાર્ટીના મુખ્ય પદો પર ચૂંટણી કરાવવા માટે ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટાયેલા લોકો લીડ કરશે તો પાર્ટી માટે સારુ રહેશે, નહીં તો કોંગ્રેસ આગામી ૫૦ વર્ષ સુધી વિપક્ષમાં રહેશે.
આગળની પોસ્ટ