પોતાના નિર્ણયની સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં પાંચ લોકોના મોત થઈ ગયા હોવા છતાં એસસી અને એસટી એક્ટ પર તરત સુનાવણી કરવાનો આજે ઈનકાર કરી દીધો હતો. કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અગાઉની સ્થિતિને માન્ય રાખવા માટેનો આદેશ જારી કરવા અપીલ કરી હતી જે હેઠળ એસસી-એસટી એક્ટ હેઠળ કોઈપણ અપરાધ બિન જામીનપાત્ર અપરાધની ક્ષેણીમાં ગણવામાં આવશે. ચીફ જસ્ટિસે તાકીદની સુનાવણી કરવાની માંગ કરતી અરજીને ધ્યાનમાં લીધી ન હતી અને કહ્યું હતું કે, આ મામલામાં તરત સુનાવણી થઈ શકશે નહી. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ એક્ટ હેઠળ તરત ધરપકડ ન કરવા માટેનો આદેશ જારી કર્યો હતો. આ ઉપરાંત એસસી-એસટી એક્ટ હેઠળ દાખલ કરવામાં આવનાર મામલામાં આગોતરા જામીનને મંજુર પણ આપી હતી. આને લઈને દેશભરમાં દલિત સમુદાયે જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી. આજે ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી. અલબત આ વિરોધ હિંસક સ્વરૂપમાં ફેરવાઈ જતા વ્યાપક હિંસા થઈ હતી. અનેક શહેરોમાં વાહનોમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. સંપત્તિને નુકસાન પહોંચડાવામાં આવ્યું હતું. ટ્રેનો રોકવામાં આવી હતી. આ હિંસામાં પાંચ લોકોના મોત થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા મામલાઓમાં ઓટોમેટીક ધરપકડ કરવાને બદલે પોલીસને સાત દિવસની અંદર તપાસ કરવી જોઈએ અને ત્યાર બાદ કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકારી અધિકારીની ધરપકડ અપોઇંટિંગ ઓથોરિટીની મંજુરી વગર થવી જોઈએ નહીં. બિન સરકારી કર્મચારીની ધરપકડ માટે એસએસપીની મંજુરી લેવી પડશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ દલિતમાં જોરદાર નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. કેન્દ્ર , દલિત કાર્યકરો, કોંગ્રેસ, આરજેડી સહિત અનેક વિરોધ પક્ષોએ વાધો ઉઠાવ્યો હતો. આ તમામે એવી રજુઆત કરી હતી કે એસસી-એસટી એક્ટ કમજોર થવાથી દલિતોની સામે હિંસા વધશે.