શહેરના કૃષ્ણનગર, નવા નરોડા અને બાપુનગર વિસ્તારમાં જુદા જુદા બનાવોમાં તડીપાર ધર્મેન્દ્ર બારડ અને તેના સાગરિતોએ ચાર રાઉન્ડ ફાયરીંગ અને સીકયોરીટી ગાર્ડ ભગીરથસિંહ રાજપૂતના બે પુત્રોએ પણ બે રાઉન્ડ ફાયરીંગ કરતાં પૂર્વના વિસ્તારમાં છ રાઉન્ડ ફાયરીંગની ઘટનાથી જબરદસ્ત સનસનાટી ફેલાઇ ગઇ હતી. કુખ્યાત ધર્મેન્દ્ર બારડ અને તેના સાગરિતોએ માત્ર ચાર જ દિવસમાં આ બીજીવાર આંતક મચાવતાં સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ ફેલાઇ ગયો છે તો બીજીબાજુ, સ્થાનિક લોકોએ નરોડા પોલીસની ભૂમિકાને લઇ ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને પોલીસના માથે માછલા ધોયા હતા તે, આ ગુનેગારો ખુલ્લેઆમ રિવોલ્વરથી ફાયરીંગ અને ખુલ્લી તલવારોથી હુમલા કરે છે તો પોલીસ શું કરી રહી છે? સ્થાનિકોએ આ સમગ્ર મામલે પોલીસ કમિશનરે દરમ્યાનગીરી કરી સખત કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ લાગણી વ્યકત કરી હતી. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રામેશ્વર બંગલોઝ ખાતે રહેતા સીકયોરીટી ગાર્ડ ભગીરથસિંહ અને તેના ભત્રીજા રાજેશ પર ત્રણ દિવસ પહેલાં જ તડીપાર ધર્મેન્દ્ર બારડ અને તેના સાગરિતોએ હુમલો કર્યો હતો, જે અંગે ભગીરથસિંહે નરોડા પોલીસમથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યાં ગઇકાલે વહેલી સવારે ભગીરથસિંહ તેમના પરિવાર સાથે ધાબા પર સૂતા હતા ત્યારે કુખ્યાત ધર્મેન્દ્ર બારડ તેના સાગરિતો સાથે સફેદ કારમાં આવ્યો હતો અને બૂમ પાડી ભગીરથસિંહને ઉઠાડયા હતા. ભગીરથસિંહ જાગીને જેવા ધાબાની પાળી પાસે આગળ આવ્યા કે, તરત જ ધર્મેન્દ્ર બારડે તેની પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી દીધુ હતું અને ફરાર થઇ ગયો હતો. જો કે, ભગીરથસિંહ બચી જતાં તેમણે તાત્કાલિક નરોડા પોલીસમથકમાં આ અંગેની ફરિયાદ કરી હતી. બીજીબાજુ, ગઇકાલે રાત્રે આ પ્રકરણમાં સમાધાન માટે નવા નરોડામાં ભગીરથસિંહના બે પુત્રો, નિવૃત્ત આર્મીમેન સહિતના લોકો ભેગા થયા હતા ત્યારે થયેલી તકારરમાં ઉશ્કેરાઇને ભગીરથસિંહના પુત્રોએ નિવૃત્ત આર્મીમેન સહિત ચાર જણાં પર તલવારથી હુમલો કર્યો હતો અને બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ બનાવોને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવાની સાથે ભય અને આંતકનો માહોલ છવાઇ ગયો હતો. દરમ્યાન ભગીરથસિંહ પર ફાયરીંગની ઘટનાને અંજામ આપ્યા બાદ ધર્મેન્દ્ર બારડ અને તેના સાગરિતો બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ પાસે આવેલી આશાપુરાની ચાલી ગેટ પાસે ગયા હતા અને ત્યાં મયુરધ્વજસિંહ વાઘેલા અને તેના મિત્ર ઇશ્વર ઠાકોર સાથે ઝઘડો કરી માર મારવાનું શરૂ કર્યું હતું. એ વખતે સૌમિલ ઉર્ફે સીટુએ તેની પાસેની રિવોલ્વરથી ઇશ્વર ઠાકોર પર ફાયરીંગ કર્યું હતું અને ત્યારબાદ બધા ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત ઇશ્વર ઠાકોરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ