વિશ્વ બેંકે આજે ભારતને ઝાટકારૂપ સંકેત આપતાં જણાવ્યુ છે કે, ભારત માટે આર્થિક વૃદ્ધિના અનુમાનને હજુ વધારે ઘટાડવામાં આવી શકે છે. સાથે એમ પણ કહ્યું કે, કોવિડ ૧૯ સંકટથી બહાર આવવા માટે હેલ્થ, શ્રમ, ભૂમિ સહિતના ૭ ક્ષેત્રોમાં રિફોર્મની જરૂર છે. વિશ્વ બેંકે મે મહિનામાં અનુમાન લગાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થામાં વિત્ત વર્ષ ૨૦૨૦-૨૧માં ૩.૨ ટકાનો ઘટાડો આવવાની આશંકા છે અને આગામી વિત્ત વર્ષમાં ફરીથી ઈકોનોમીની ગાડી પાટા પર આવી શકે છે.
વર્લ્ડ બેંકે એક રિપોર્ટમાં કહ્યું કે, હાલના અઠવાડિયામાં મુશ્કેલીઓ સામે આવી છે. અને તેને લીધે નજીકના ભવિષ્યમાં સંભાવનાઓ પર અસર પડી શકે છે. આ જોખમોમાં વાયરસનું સંક્રમણ વધવું, વૈશ્વિક ઈકોનોમીમાં ઘટાડો તથા નાણાકીય ક્ષેત્ર પર વધારાનું દબાણ સહિતના અનુમાન સામેલ છે. બેંકે કહ્યું કે, આ વસ્તુઓને ધ્યાનમાં રાખતાં, સંશોધિત પરિદ્રશ્યમાં તીવ્ર ઘટાડાનું અનુમાન રાખી શકાય છે. સંશોધિત પરિદ્રશ્ય ઓક્ટોબર ૨૦૨૦માં ઉપલબ્ધ થસે.
વિશ્વ બેંકનું અનુમાન છે કે, ભારતની નાણાકીય ખાદ્ય ચાલુ નાણાકીય વર્ષમાં વધીને ૬.૬ ટકા થઈ શકે છે અને બાદના વર્ષમાં ૫.૫ ટકાના ઉચ્ચ સ્તરે બની રહી શકે છે. અર્થવ્યવસ્થા પર મહામારીનો પ્રભાવ એવા સમયે પડ્યો છે કે જ્યારે પહેલીથી જ અર્થવ્યવસ્થામાં ઘટાડો થઈ રહ્યો હતો. ૨૦૧૭-૧૮માં દેશની જીડીપી ૭ ટકા હતી. જે ૨૦૧૮-૧૯માં ઘટીને ૬.૧ ટકા, તો ૨૦૧૯-૨૦માં ૪.૨ ટકા પર આવી ગઈ છે.
વિશ્વ બેંકે કહ્યુ કે, જો કે ભારતે નીતિગત મોરચા પર અનેક સુધારાઓ પણ કર્યા છે. તેમાં કંપની દરમાં કાપ, નાના કારોબારીઓ માટે રેગ્યુલેટરી છૂટછાટ, વ્યક્તિગત ઈન્કમ ટેક્સના દરમાં કાપ સહિતના સુધારા સામેલ છે. પણ મહામારીને કારણે અપેક્ષિત પરિણામો મેળવી શકવાની આશા ઓછી છે. વર્લ્ડ બેંકે કહ્યું કે, પણ હવે પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયો છે અને ચાલુ નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં ઘટાડો આવશે.