બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે મહાગઠબંધન સાથે છેડો ફાડી લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ અધવચ્ચે જ મહાગઠબંધન છોડતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.
સૂત્રોના મતે રાજકીય વર્તુળોમાં ચર્ચાતી ચર્ચા મુજબ માંઝી ફરીથી નીતીશ કુમાર સાથે જઈ એનડીએનો હિસ્સો બની શકે છે. ગુરુવારે હિન્દુસ્તાની આવામ મોરચાના અધ્યક્ષ જીતન રામ માંઝીએ સત્તાવાર રીતે મહાગઠબંધન સાથે છેડો ફાડ્યો હોવાનું જણાવ્યું છે.માંઝીએ મહાગઠબંધનમાં ટકી રહેવા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સમક્ષ અનેક શરતો રાખી હતી, પરંતુ નીતીશ કુમાર સાથે તેમની નિકટકા વધી રહી હોવાથી તેજસ્વી યાદવે તેમની કોઈ પણ શરતને ગંભીરતાથી લીધી નહતી. માંઝીએ તેજસ્વી યાદવ પર આક્ષેપ કરતા કહ્યું કે આરજેડી નેતા તેજસ્વી ખૂબ જીદ્દી છે અને તેઓ કોઈનું સાંભળતા નથી. આવ વલણને પગલે તેમની સાથે રહેવું મુશ્કેલ છે. જીતન રામ માંઝીએ મહાગઠબંધન સાથે છેડો ફાડ્યો તે બિહારના રાજકારણમાં સૌથી મોટો ફેરફાર છે અને મહાગઠબંધનને તેનાથી સંભવિત નુકસાન થઈ શકે છે. માંઝી બિહારમાં મહાદલિત સમાજના દિગ્ગજ નેતા છે.