ચુડા તાલુકાના ખાંડીયા ગામ પાસે આવેલા પંચમુખી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં વિરાજમાન શ્રી રામનાથ મહાદેવ તથા રામજી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી છે. આ પંચમુખી હનુમાનજીનું પ્રાચીન મંદિર છે, તેની આજુબાજુનો વિસ્તાર ‘કાશીની પાટ’ના ઉપનામથી ઓળખવામાં આવે છે. અહીં પવિત્ર વાસણ નદીના કિનારે ભાદરવી અમાસના દિવસે સ્વયંમ ગંગાજી પ્રગટ થતા હોવાની માન્યતા છે જેથી મોટી સંખ્યામાં લોકો અહીં ભાદરવી અમાસના દિવસે સ્નાન કરી ધન્યતા અનુભવે છે. આ પવિત્ર નદીના જળમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ અનેક વખત સ્નાન કરી ચુક્યા છે. હાલ આ નદીના તટ પર દર વર્ષે સ્વામિનારાયણ સમુદાયના સંતો દ્વારા સત્સંગ તેમજ સ્નાનનું આયોજન ભાદરવી અમાસના દિવસે કરવામાં આવે છે. પંચમુખી હનુમાનજી મંદિરના પુજારી દ્વારા કોરોના વાયરસની મહામારીથી સમગ્ર દેશ તથા દુનિયાને મુક્તિ મળે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.
(વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)