Aapnu Gujarat
ગુજરાત

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘સ્વસ્થ મન, સમૃદ્ધ જીવન’  વિષય ઉપર 80મી પ્રવચનમાળા યોજાઇ

‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદ્ય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા 20 વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિ વિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને  શાસ્ત્ર પર ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં દર્શન-તત્ત્વજ્ઞાન વિષયના ભાગરૂપ ‘આર્ષ’ અક્ષરધામ દ્વારા ‘સ્વસ્થ મન, સમૃદ્ધ જીવન’ (Healthy Mind, Wealthy Life) 80માં પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, ઝાડેશ્વર (ભરૂચ)ના કોઠારીશ્રી, વેદાંતાચાર્ય, પૂ. અનિર્દેશદાસ સ્વામીએ વક્તવ્યનો લાભ આપ્યો હતો. પ્રવચનમાં આશરે 1500 જેટલા  શ્રોતાઓએ ભાગ લીધો હતો.

‘સ્વસ્થ મન, સમૃદ્ધ જીવન’ વિષય પર પ્રકાશ પાડતાં પૂ. અનિર્દેશદાસ સ્વામીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, સમૃદ્ધ શબ્દ વિષે મનુષ્યમાત્રને પ્રીતિ છે. આ સમૃદ્ધિ હર કોઈ ઈચ્છે છે. કોઈ શરીરથી, કોઈ પૈસાથી સમૃદ્ધિ ઈચ્છે. પરંતુ સંપત્તિથી પ્રાપ્ત થયેલી સમૃદ્ધિ બહુ લાંબો સમય ટકતી નથી. જ્યારે મનની એવી તાકાત છે કે તે સ્વસ્થ હશે તો આપણી આર્થિક પરિસ્થિતિ સારી હોય કે ન હોય તો પણ મનની  સુખ શાંતિ મળશે.

કોઇ માણસ જેલના બંધનમાં હોય પણ તેનું મન સ્વસ્થ હોય તો વિપરીત પરિસ્થિતિની વચ્ચે પણ વિકાસયાત્રા ચાલુ રાખે છે. સ્વસ્થ મન એટલે  સ્થિર મન, શાંત મન, પવિત્ર મન, બળવાન મન અને પ્રસન્ન મન. મનની અપવિત્રતાને કારણે રાવણે આખા કુળનો નાશ કર્યો. મન બહુ ઉદાસ થાય છે ત્યારે બહુ પ્રશ્નો થાય છે. મન શાંત હોય, પ્રસન્ન હોય, પવિત્ર હોય એ જરૂરી છે. એ પવિત્ર મનને કારણે જ પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામમાં આતંકવાદનો એટેક થયો ત્યારે પણ પ્રાર્થના કરી અને શાંતિ માટે અપીલ કરી. એટેક પછી ગુજરાતમાં શાંતિ રહી તે તેમના સ્વસ્થ મનને કારણે બન્યું. આતંકવાદી મૃત્યુ પામ્યા હતા ત્યાં પણ તેમણે શાંતિપાઠ કરી તેમનું કલ્યાણ થાય એ ભાવના પ્રગટ કરી તે તેમના સ્વસ્થ મનને કારણે બન્યું.

સ્વસ્થ મનના નિમાર્ણની આવશ્યકતા શું? તો તેમણે જણાવ્યું કે, તમામ ક્રિયાઓ સારી કરી શકીએ તેના માટે સ્વસ્થ મનની જરૂરિયાત હોય છે. દૃષ્ટિકોણ સાચો, તો લાગણી સારી હોય.

આપણા જીવનમાં આપણે શાંતિ માટે રાત-દિવસ દોડધામ કરીએ છીએ. આપણા મગજમાં ગેરસમજ છે કે જેટલી પૈસાની સમૃદ્ધિ તેટલું સુખ. પરંતુ જેમ સંપત્તિ વધારે તેમ શાંતિ હણાય છે. મન અસ્વસ્થ બને છે.

બીજુ કારણ સંબંધો. આપણે એકલા નથી પરંતુ અનેક લોકોના, સંબંધીઓના સંપર્કમા આપણે રહેવાનું થાય છે. પરિવારના સંબંધોમાં લાંબા સમયે સામેની વ્યક્તિ પર આપણા મનની અસર વધારે થાય છે. બહારના પ્રશ્નો જેટલા દુઃખી નથી કરતાં તેટલાં ઘરના પ્રશ્નો આપણને દુઃખી કરે છે.

પરિવારના નાના-નાના પ્રશ્નો સામે માણસ હારી જાય છે. સંબંધો એટલા લાગણીશીલ છે કે જેમાં મન સ્વસ્થ હોય તે જરૂરી છે

ત્રીજું કારણ શરીર. ગમે તેવો બાહોશ વ્યક્તિ બિમાર પડે તેને પણ સ્વસ્થ મનની જરૂરીયાત છે. આપણા મનની ભૂમિકામાં શરીરના સ્વાસ્થ્યની અગત્યતા છે. મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. શિક્ષકના મનની અસર વિદ્યાર્થીના મન પર થાય છે. સિદ્ધાંતોના અમલ માટે સ્વસ્થ મનની જરૂરીયાત છે. જાણવું તે અલગ બાબત છે અને અમલમાં મૂકવું એ અલગ બાબત છે. મનોબળ નબળું પડે તો કામ સફળ ન થાય. ભૂલ કર્યા પછી આપણને જાણપણું આવે છે. આ જાણપણું પહેલેથી રહે તેના માટે સ્વસ્થ મનની જરૂરીયાત છે.

સ્વસ્થ મનની મોક્ષપ્રાપ્તિ માટે પણ એટલીજ જરૂરીયાત છે. ભરતજીએ રાજ્યનો ત્યાગ કરી જંગલમાં જઈ કઠોર તપ કરેલું  તેમ છતાં તેમનું  મન છેલ્લે મૃગલીમાં જોડાયું. જેથી મોક્ષ પ્રાપ્તિ ન કરી શક્યા. બીજી બાજું જનક રાજા સંસારમાં રહેવા છતાં વિદેહી કહેવાયા તેનું કારણ તેમનું સ્વસ્થ મન.

પ્રવચનના અંતિમ ભાગમાં જણાવ્યું હતું કે  સ્વસ્થ મન નિર્માણ કઈ રીતે થઈ શકે? ઘણા બધાએ પુસ્તકો લખી વિચારો આપ્યા છે.  વિચાર આપવા બહુ સહેલા છે પરંતુ જેમણે જાતે જીવન જીવી બતાવ્યું છે તેમના જીવન વિશે જાણવું જોઈએ. આચરણ વગર એક શબ્દ પણ અસર કરી શક્તો નથી. 80 વર્ષે ત્રણ ત્રણ વાર લગ્ન કરનાર બ્રહ્મચર્ય ઉપર પ્રવચનો કરે પણ તેનો ભાર પડતો નથી. પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષોએ સમૃદ્ધ જીવન જીવીને ઘણાનાં જીવન સમૃદ્ધ બનાવ્યા છે. બહારના વાતાવરણની અસર આપણા જીવન પર પડે છે.

મનને સ્થિર કરવાના તેમણે ત્રણ ઉપાયો સૂચવ્યા હતા. (1) આહારશુદ્ધિ (2) વ્યવહારશુદ્ધિ અને (3) વિચારશુદ્ધિ તેમાં પ્રથમ આહારશુદ્ધિ અર્થાત્‌ તમામ ઇન્દ્રિયોનો આહાર કહેતાં દેખવું, સાંભળવું, સુંઘવું, ખાવું વગેરેની આહારશુદ્ધિ નથી તો મન ક્યાથી સ્વસ્થ રહેવાનું.

બીજો ઉપાય છે વ્યવહાર શુદ્ધિ. એટલે આપણા સંબંધોમાં ભાવનાઓની શુદ્ધિ. ઉદાર દિલે માફી આપતા શીખીએ તે મોટી સંબંધોની વ્યવહારશીલતા છે. પ્રમુખસ્વામી મહારાજનું સૂત્ર છે. મોટું મન રાખતા શીખો. લોકો મન નાનું રાખે છે એટલે અસ્વસ્થ થાય છે. પૂ. પ્રમુખસ્વામી મહારાજ આતંકવાદીને માફી આપી શકતા હોય તો આપણે કેમ કોઈને માફી ન આપી શકીયે? પ્રમુખસ્વામી મહારાજે સાધુ જીવનમાં અનેક મુશ્કેલીઓ વેઠી છે પણ હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. પોતાના સ્વસ્થ મનને કારણે સૌના ભલામાં આપણું ભલું તે સૂત્ર સાથે તેઓ જીવન જીવી ગયા. બીજાના સુખે સુખી થતા શીખો તે તેમની જીવન ભાવના હતી. આપણે જ આપણા વિકાસને રૂંધી રાખીયે છીએ. બીજાને સુખી ન કરી શકીએે તો કંઈ નહિ પણ તેને માટે પ્રાર્થના તો કરીએ!

મનની સ્વસ્થતાનો ત્રીજો ઉપાય વિચાર શુદ્ધિ.

  1. આપણે જે છીએ તેનો વિચાર.
  2. જ્યાં છીએ તેનો વિચાર.
  3. જેના વડે છીએ તેનો વિચાર.

આપણે દેહ નથી પણ આત્મા છીએ તે મૂળ વિચાર રાખવો. દેહ માત્ર સાધન છે. આ વાત સમજાઈ નથી તેથી સામાન્ય બીમારીમાં પણ માણસ અસ્વસ્થ થઈ જાય છે. દેહને પોતાનુ રૂપ માનતા દુઃખ ઉત્પન્ન થાય છે. પોતાને સવારમાં અરીસા સામું જુઓ ત્યારથી દુઃખી થવાની શરૂઆત થાય છે. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના પહેલા વચનામૃતમાં કહે છે, આપણે આત્મા, ચૈતન્ય છીએ, દેહ દુઃખરૂપ છે, આત્મા સુખરૂપ છે, દેહ નાશવંત છે આત્મા શાશ્વત છે.

જ્યાં છીએ તેનો વિચાર- આ જગતને આપણે કાયમી માની બેઠા છીએ. આપણે જગતને ફોટોગ્રાફીની રીતે જોઈએ છીએ. પરંતુ જગતને જોવાની દૃષ્ટિ એક્સરે દૃષ્ટિ હોવી જોઇએ. આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે તેઓ વિચાર રાખવો. જેને સાંખ્ય વિચાર કહેવાય.

જેના વડે અર્થાત્‌ ભગવાનના કર્તૃત્વનો વિચાર- આપણા જીવનમાં જે કઈ બને છે તેના કર્તાહર્તા ભગવાન છે. તેવો વિચાર રાખવો.

આપણે પોતે કર્તા નથી પણ આપણામાં રહેલા ભગવાન બધું કરે છે જે કંઈ થાય છે તે ભગવાનની શક્તિથી થાય છે. એવો વિશ્વાસ હોવો જોઈએ. તેવી વિચાર શુદ્ધિ જોઈએ. આ વિચારથી મન એટલું શાંત થશે અને સ્વસ્થ થશે.

આ વિચારોને જાગૃત રાખવા માટે નિત્ય સત્સંગ અર્થાત્‌ રવિસભા અને ઘરસભા. બીજા પાસે સુધરવાની અપેક્ષા ન રાખતાં પોતે સુધરીએ તે જરૂરી છે તેથી વિચારશુદ્ધિ થશે તેને કારણે સ્વસ્થ મન રહેશે અને સુખી અને સમૃદ્ધજીવન પણ બનશે.

પ્રવચનને અંતે પૂ. અનિર્દેશદાસ સ્વામીએ ઉપસ્થિત સૌ શ્રોતાઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા.

પ્રવચનના અંતમાં આર્ષ શોધ સંસ્થાનના નિયામકશ્રીએ આગામી 81મી પ્રવચનમાળા (શાસ્ત્ર તરીકે નિષ્કુળાનંદ કાવ્ય-3 કલ્યાણનિર્ણય અને ભક્તિનિધિ) ની રૂપરેખા આપી હતી.

Related posts

કાંટાવેડા તેમજ ગોયાસુંડલ ગામમાં દીપડા બે બાળકોને ફાડી ખાધા

editor

મોલ-મલ્ટીપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવા ગુજ.હાઈકોર્ટની મંજૂરી

aapnugujarat

बोडकदेव, थलतेज और गोता सहित के वोर्ड में रास्ते पांच से छह बार रिसरफेस के बाद भी टूटे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1