ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા ૧૦ ઓગસ્ટે માન્યતા મળતા આજે ૧૪ ઓગસ્ટે ખેડૂતોના હિતાર્થે કૃભકો દ્વારા ૩ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો એટલે કે ૬૭ હજાર બોરી યુરિયાનો જથ્થો હિંમતનગર રેલવે સ્ટેશને પહોંચતા જિલ્લા કલેકટર સી. જે. પટેલે શ્રીફળ વધેરી હર્ષ સાથે ખેડૂતોની ખુશીને વધાવી હતી. આ પ્રસંગે કૃભકોના ડાયરેક્ટર પરેશ પટેલ, સાબરકાંઠા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન મહેશ પટેલ, પ્રવિણ પટેલ, ખેતીવાડી અધિકારી, અગ્રણીઓએ હાજર રહી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્રારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પહેલને આવકારી હતી. આ રેક સૌપ્રથમ ડીસા-પાલનપુર અને ત્રીજા તબક્કામાં હિંમતનગર રેક પોઇન્ટ પર આવી પહોંચતા સાબરકાંઠા અરવલ્લી ખેડૂતોને ખાતર સરળતાથી ઘર આંગણે મળી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્પપ્ન ખેડુતોની આવક બમણી કરવાનું છે તેમાં આ કદમ ઉપયોગી નીવડશે અને ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વધારો થશે. આ સવલતથી દર મહિને બે થી ત્રણ રેક ખાતર ખેડૂતોને મળશે. પહેલા ખાતરનાં કાળા બજાર હવે બંધ થશે અને ખેડુતોને વાજબી ભાવે ખાતર મળી રહેશે. છેલ્લાં ઘણાં સમયથી ખેડૂતોની ખાતરની માંગણીનો પ્રશ્ન હલ થયો છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ