દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 2005 જેવો જળપ્રલય આવ્યો છે. ૧૦૭ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદે ચારેતરફ તારાજી સર્જી છે.
મુંબઈ તથા પરા વિસ્તારમાં બુધવારે પડેલા મુશળધાર વરસાદને કારણે થાણે અને પાલઘર જિલ્લામાં ઠેરઠેર જળબંબાકાર થતા જનજીવન પર મોટા પાયે અસર પડી હતી. હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી થાણે, મુંબઈ અને કોંકણમાં અતિ ભારે વરસાદથી આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.
વિભાગે કહ્યું કે ૧૨ કલાકમાં દહાણુમાં ૩૬૪ મિમિ, ભયંદરમાં ૧૬૯ મિમિ, મીરાં રોડમાં ૧૫૯ મિમિ, થાણે સિટી, ડોમ્બિવલી અને કલ્યાણમાં ૧૨૦ મિમિ તથા મુંબઈ શહેરમાં ૩૦ મિમિ તથા બાન્દ્રા અને કુર્લામાં ૭૦ મિમિ વરસાદ ખાબક્યો હતો. થાણે જિલ્લામાં વિવિધ ઠેકાણે ૧૦૦થી પણ વધારે વૃક્ષો ધરાશાયી થતા ઘણા વાહનોને નુકસાન થયું હતું. થાણે, કલ્યાણ અને ભીવંડીમાં નાળા છલકાયા હતા. થાણેના ઓવાલે વિસ્તારમાં એક ઘર ધરાશાયી થયું હતું. મુંબઈ અને તેના પરા વિસ્તારમાં પાટા પર પાણી ભરાતા ૧૦ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
કાંદિવલીમાં પશ્ચિમી એક્સ્પ્રેસ રાજમાર્ગ પર ભૂસ્ખલન થતાં દક્ષિણ મુંબઈ તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં મુંબઇની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન બંધ કરી દેવાઇ હતી. હાર્બર લાઇન પર રેલવે સેવાઓ સંપૂર્ણ ઠપ્પ થઇ ગઇ હતી. પશ્ચિમ રેલવેએ બાંદ્રાથી ચર્ચગેટ સુધીની સેવાઓ સ્થગિત કરી દીધી હતી.
બીએમસીએ મુંબઇગરાઓને તાકીદની પરિસ્થિતિ હોય તો જ ઘરની બહાર નીકળવાની તાકીદ કરી હતી. દક્ષિણ મુંબઈમાં ઘણા કર્મચારીઓ કોર્ટમાં ન પહોંચતા બોમ્બે હાઈકોર્ટે ઘણા કેસોની ઓનલાઈન સુનાવણી સ્થગિત કરી નાખી હતી.
હવામાન વિભાગે થાણે પાલઘર અને મુંબઈમાં આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બીએમસી દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ રહી છે. દરિયામાં મોટા મોટા મોજાઓ ઉછળવાની પણ હવામાન વિભાગની આગાહી છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી તેમણે અધિકારીઓને એલર્ટ પર રહેવાનું જણાવ્યું હતું. સાથે સાથે મુખ્યમંત્રીએ લોકોને ઘેર જ રહેવાની તાકીદ કરી હતી.