છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકાના ઉમરવા વસાહતમાં ઘર આંગણે રમી રહેલા બાળકોમાંથી એક બાળક ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર ઘાયલ થતાં પાંચ વર્ષના બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. વનવિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચી જઈ આ દીપડાને ઝબ્બે કરવા માટે બે પાંજરા ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુર જીલ્લા વનવિભાગના ડી.એફ.ઓ નિલેશ પંડ્યાના જણાવ્યા મુજબ પાવીજેતપુર તાલુકાના ઉમરવા વસાહત ખાતે સંધ્યાકાળે ૭ વાગ્યાના સુમારે અશોક સાકળભાઈ રાઠવાના બાળકો વંશ અને આશિક ઘર આંગણામાં ઢોરો બાંધ્યા હોય તે જગ્યાની બાજુમાં રમતા હતા. અંધારું થતાની સાથે જ એક જંગલી દીપડો એકાએક બાળકો પર ત્રાટક્યો હતો જેમાં પાંચ વર્ષના વંશ રાઠવાને ગળાના ભાગેથી પકડી લઈ ભાગતો હતો તે દરમિયાન આશિક તેમજ બાળકોની માતાએ ભયાનક દ્રશ્ય જોતા બૂમાબૂમ કરી અશોકભાઈને જાણ કરતા અશોક તેમજ આજુબાજુના લોકો સ્થળ ઉપર દોડી ગયા હતાં. અશોકે હિંમત કરી પથરા મારી દીપડાના મુખમાંથી મહામુસીબતે વંશને છોડાવ્યો હતો. દીપડો જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો જ્યારે વંશને ગળાના આગળના ભાગે તેમજ પાછળનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘાયલ થઈ ગયો હતો. તાત્કાલિક ૧૦૮ને ફોન કર્યો હોય પરંતુ ૧૦૮ને વાર લાગે એમ હોય તેથી તાત્કાલિક મોટરસાયકલ ઉપર વંશ ને પાવીજેતપુર દવાખાને લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ વંશ રાઠવાનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ છોટાઉદેપુર ડી.એફ.ઓ નિલેશ પંડ્યાને થતા જિલ્લાની સમગ્ર વન વિભાગની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બે પાંજરા ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. નિલેશ પંડયાએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં પાણી ઓછું થતા પાણીની શોધમાં આ દીપડો રહેણાંક વિસ્તારમાં આવી ગયો હશે. ઉમરવા વસાહત નજીક એક કોતર હોય જ્યાં એ પાણીની શોધમાં આવ્યો હશે અને રહેણાંક વિસ્તારમાં પ્રવેશી જતાં ઉમરવા વસાહતમાં પાંચ વર્ષના વંશ રાઠવાની ઉપર હુમલો થતા કરૂણ મોત થવા પામ્યા છે. બે પાંજરા રાત્રિના મૂકવામાં આવ્યા હોય પરંતુ દીપડો હજુ ઝબ્બે થઇ શક્યો નથી. દીપડાના પગલા દેખાતા રાત્રે દીપડો આસપાસ આવ્યો હશે તેમ વનવિભાગે જણાવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ