છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાનું નૂતનવર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ બોડેલી ખાતે એપીએમસીમાં રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પ્રભારી રાજેશ પટેલ, છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતા રાઠવા, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકર રાઠવા, જિલ્લા અધ્યક્ષ જશુ રાઠવા, મહામંત્રી મુકેશ પટેલ, વિરેન્દ્રસિંહ પરમાર બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ બારીયા, સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ અરુણા તડવી, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રશ્મીકાંત વસાવા, રાજેશ વડેલી સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી સમૂહમાં વંદેમાતરમ ગીત દ્વારા કરવામાં આવી ત્યારબાદ મહાનુભાવોનું ખેસ પહેરાવી, પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા અધ્યક્ષ જશુ રાઠવા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સંખેડા ધારાસભ્યએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે રૂપાણી સરકારે અનેક યોજનાઓ થકી પ્રજાજનોને લાભ અપાવ્યો છે. સેવસેતુના કાર્યક્રમો થકી બહેનોને, દીકરીઓને, વૃદ્ધાઓના વિવિધ યોજનામાં ફોર્મ ભરી તાત્કાલિક ઓર્ડરો આપી લાભ આપ્યા છે. દરેક કાર્યકર્તાઓને ટકોરતાં જણાવ્યું કે હું દરેક કાર્યક્રમમાં હાજરી આપી લાભ અપાવું છું પરંતુ આ કાર્ય મારુ એકલાનું કે પદાધિકારીઓનું નથી દરેક ગામમાં રહેતા કાર્યકર્તાઓનું પણ છે. જો દરેક કાર્યકર્તાઓ પોતાની જવાબદારી સમજી ગામના જરૂરીયાતમંદ લોકોનું કામ કરે તો તેનો લાભ પાર્ટી અને કાર્યકર્તાઓને જ મળશે
પૂર્વ સાંસદ રામસિંહભાઈએ તમામ કાર્યકરોને એકજુથ થઈને આવનારી ચૂંટણીઓમાં ભાજપાને જીતાડવા આહવાન કર્યું હતું. સાંસદ ગીતા રાઠવાએ સંસદીય વિસ્તારના અનેક પ્રશ્નોની રજૂઆત ભારત સરકારમાં કરી પ્રજાની સુખાકારી કાર્યોની રજૂઆત કરી છે અને વિસ્તારનો હંમેશા વિકાસ થાય તેવા પ્રયત્નો પણ કરી રહ્યાની વાત કરી હતી. છોટાઉદેપુર શહેર સહિત સાત તાલુકાના નવા નિમાયેલા પ્રમુખ,મહામંત્રીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આમ જિલ્લાના સ્નેહ મિલનમાં જિલ્લા, તાલુકાના તમામ કાર્યકર્તાઓનો જિલ્લાના પ્રમુખ, મહામંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)
પાછલી પોસ્ટ