તમને કોઈ પૂછે કે લંકા દહન કોણે કર્યું હતું તો આપ, અચૂક હનુમાનજીનું જ નામ કહેશો, પણ હું જો એમ કહું કે લંકાદહન હનુમાનજીને કારણે નહીં પણ મા પાર્વતિજીના કરણે થયું હતું તો. જીહાં આપણા ધર્મગ્રંથોમાં એકજ પ્રસંગને લઈને વિવિધ પ્રકારની અનેક કથાઓ સંકળાયેલ જોવા મળે છે, અને આવીજ એક કથાની માહિતી પ્રાપ્ત થાય છે લંકા દહનને લઈને.
કથા પ્રમાણે, જ્યારે ત્રેતાયુગમાં શ્રી હરિ વિષ્ણુએ શ્રીરામનો અવતાર ધારણ કર્યો, તો તેમની મદદ કરવા મહાદેવે પણ હનુમાનજીના રૂપે પૃથ્વી પર અવતાર ધારણ કરવાનો મહત્વનો નિર્ણય લેવો પડ્યો. આ સમયે મા પાર્વતી શિવજી વગર કેવી રીતે રહેશે તે વિચારી અતિ ઉદાસ થઈ ગયા, તેમણે પણ શિવજી સાથે પૃથ્વી પર જન્મ ધારણ કરવાની ઈચ્છા જાહેર કરી. પણ મહાદેવે તેમને સમજાવતા કહ્યું કે, ”હે ઉમા હું મા અંજનીના બાળબ્રહ્મચારી પુત્રના રૂપે જન્મ લેવાનો છું, અને આથી તે રૂપમાં આપણો મિલાપ નઈ થઈ શકે.
ત્યારે મા પાર્વતીએ મહાદેવને જણાવતા કહ્યું કે, ‘હે નાથ હું આપની પૂંછના રૂપે આપની સાથે હંમેશા રહિશ. આ રીતે મારુતિમાં શિવ અને શક્તિ બન્નેયનો સંયુક્ત અંશ હશે, જેના કારણે તે પરમ શક્તિશાળી કહેવાશે. ભગવાન શિવશંકરે પાર્વતીજીની આ વાતને કબૂલ કરી હતી.
આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ એ વાતનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે, કે હનુમાનજીની પૂંછને મા જગદંબાના આશિષ હતાં. તેને કોઈ પણ અસ્ત્ર થકી હાની ન થતી, ન માત્ર આટલું પણ તેજ પૂંછની મદદથી જ હનુમાનજીએ લંકાદહન જેવા અવિસ્મરણીય કાર્યને પૂરું કર્યું હતું.