લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર લવાણામાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ અને ‘વન્ય પ્રાણી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. તાઃ-૦૨-૧૦-૨૦૧૯ થી તાઃ-૦૮-૧૦-૨૦૧૯ સુધી ‘વન્ય પ્રાણી સપ્તાહ’ અને તાઃ-૦૪-૧૦-૨૦૧૯ને ‘વન્ય પ્રાણી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે જેના અનુસંધાનમાં શાળામાં મહેશ પ્રજાપતિ (બીટ ફોરેસ્ટ ઑફિસરઃ-વન રક્ષક, દિયોદર) તેમજ તેમની સાથે રામાભાઈ પઢિયાર (સરપંચ, લવાણા ), ભરત ગોલેતર (રેવન્યુ તલાટી)ની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ કાર્યક્રમના પ્રારંભે કવિ કલાપી રચિત કાવ્ય ‘શિકારીને’ વાઘેલા નયના, વાઘેલા રિંકલ અને મિત્તલે રજૂ કર્યું હતું. ત્યારબાદ વન્ય સંપત્તિ, વન્ય જીવો, તેમનું સંરક્ષણ, અભ્યારણો, રાષ્ટ્રીય ઉદ્યાનો જેવા વિવિધ વિષયો પર શાળાના બાળકોએ વકતવ્ય રજૂ કર્યું હતું. મહેશ પ્રજાપતિ અને રામાભાઈ પઢિયારે બાળકોને ‘વન્ય પ્રાણી સપ્તાહ’ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતમાં ભાગ લીધેલ બાળકોને મહેશ પ્રજાપતિ તરફથી પ્રોત્સાહક ભેટ આપી બાળકોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું..
(તસ્વીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા)