સીબીએસઈના ૧૦માં અને ૧૨ ધોરણની બોર્ડ પરીક્ષાઓની તારીખોની વાલીઓ અને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. સીબીએસઈએ ૧૦માં અને ૧૨માં ધોરણની પરીક્ષાઓની તારીખોની જાહેરાત આજે થવાની હતી. જણાવી દઈએ કે, આજે સાંજે ૪ કલાકે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઓનલાઈન ચર્ચા કરી હતી. આ ચર્ચામા મુખ્ય વિષય આગામી પરીક્ષાઓને લઈને રહ્યો હતો. ત્યારે હવે શિક્ષણમંત્રીએ સ્પષ્ટ કર્યુ છે કે, આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી સીબીએસઈની પરીક્ષાઓ યોજાશે નહીં.
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલે જણાવ્યુ હતું કે, સીબીએસઈની પરીક્ષાઓ રદ થશે નહીં, પરીક્ષાઓ ચોક્કસથી યોજાશે. કારણ કે, વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા પરીક્ષાઓ કરાવવી ખૂબ જ જરૂરી છે.ત્યારે હવે શિક્ષણમંત્રીએ આપેલા સંકેત પ્રમાણે જોઈએ તો, આગામી વર્ષે માર્ચની શરૂઆતમાં આ પરીક્ષાઓ યોજાઈ શકે છે. જોકે, સીટીએસઈ પરીક્ષા ૨૦૨૧ ડેટશીટ/ શિડ્યૂલ જાહેર થયા બાદ જ સ્થિતી સ્પષ્ટ થઈ શકશે.શિક્ષણમંત્રીએ બોર્ડ પરીક્ષાઓની તારીખો પર કહ્યુ હતું કે, બોર્ડની પરીક્ષાઓ જાન્યુઆરીમાં યોજાઈ શકશે નહીં. પણ ફેબ્રુઆરી બાદ ક્યારે યોજવી તેના પર અમે વિચાર કરીશું. એટલે કે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા સ્થગિત રહેશે અને ત્યાર બાદ તેના પર વિચાર વિમર્શ કરવામાં આવશે.બોર્ડ પરીક્ષાના મોડ પર વાત કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, સીબીએસઈની ૨૪ હજારથી વધારે સ્કૂલ ગ્રામિણ વિસ્તારોમાં છે. એટલા માટે ઓનલાઈન પરીક્ષાઓ સંભવ નથી.શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ અગાઉ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કહ્યુ હતું કે, તેમને બોર્ડની પરીક્ષાને લઈને થતી મુશ્કેલીથી ગભરાવાની જરૂર નથી. તેમણે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યુ છે કે, બોર્ડની પરીક્ષાઓ યોજાય તે પહેલા જલ્દી તારીખોની જાહેરાત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી હતી, પણ કોરોનાના કારણે આ પરીક્ષાઓ સ્થગિત કરવી પડી હતી.