રાજ્યના પ્રગતિશીલ અને પ્રજાલક્ષી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે અનેક પ્રજાલક્ષી નિર્ણયો કર્યા છે. રાજ્ય સરકારે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને ગ્રામ્ય વિસ્તારના ગામતળ બહારના પાણી પુરવઠા માટેના વિજ જોડાણોને ૨૪ કલાક વિજ પુરવઠો આપવાનું નક્કી કર્યું છે. આ અંગે વધુ વિગતો આપતા ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું હુતં કે, ગ્રામ્ય વિસ્તારમાં ઘણીવાર ગામના વારિગૃહમાં પાણીનો પુરતો પુરવઠો ન મળવાને કારણે કે બોર નિષ્ફળ જવાના કારણે ગામથી નજીક આવેલા ખેતીવાડી વિસ્તારમાં ગ્રામ પંચાયત કે પાણી પુરવઠા વિભાગ દ્વારા વારિગૃહના વીજ ડોજાણની માંગણી કરવામાં આવે ત્યારે અગાઉ આવા વીજ જોડાણોને ખેતીવાડી ફીડર પરથી વીજ પુરવઠો આપવામાં આવતો હતો. ખેતીવાડી ફીડર પરથી ૮ કલાકથી ફેઇઝ વીજ પુરવઠો મળતો હોઈ તેમજ વીજ પુરવઠાનો સમય પણ એક અઠવાડિયું દિવસ દરમિયાન અને એક અઠવાડિયું રાત્રિ દરમિયાન મળતો હોઈ પીવાનું પાણી પુરુ પાડવામાં સમસ્યા રહેતી હતી. આવા વીજ જોડાણોને જ્યોતિગ્રામ ફીડર પરથી ૨૪ કલાક વીજ પુરવઠો આપવા માટે લોક પ્રતિનિધિઓ તેમજ ગામના સરપંચોની માંગણી હતી. ગ્રામ્ય પ્રજાને પીવાના પાણીનો પુરવઠો મળવામાં સમસ્યા ન રહે તે માટે ગુજરાત સરકારે આવા વીજ જોડાણોને જ્યોતિગ્રામ ફીડર પરથી ૨૪ કલાક વીજ પુરવઠો આપવાનું નક્કી કરેલ છે. રાજ્ય સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયને કારણે ગ્રામ્ય પ્રજાને પીવાના પાણી માટે પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે તેમ ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાએ ઉમેર્યું હતું.