આગામી મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઇ રહ્યો છે. શાસક અને વિરોધ પક્ષ બંને પોતપોતાના ઉમેદવારો પસંદ કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન ભાજપના સાંસદ અને બોલિવૂડના અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ભાજપ સમક્ષ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નામ જોરશોરથી આગળ કર્યું છે.
અડવાણીના સમર્થનમાં શત્રુઘ્ન સિંહાએ ઉપરાછાપરી ટિ્વટ કરીને રાષ્ટ્રપતિપદ માટે તેમની દાવેદારી રજૂ કરતાં જણાવ્યું છે કે દેશના સૌથી પ્રતિષ્ઠાવંત પદ માટે અડવાણી વિદ્વાન, સન્માનીત, અનુભવી અને સુયોગ્ય ઉમેદવાર છે.અડવાણીએ પાર્ટી અને દેશ માટે પોતાની સમગ્ર જિંદગી લગાવી દીધી છે. મારા જેવા અસંખ્ય લોકો તેમને દેશનું નેતૃત્વ કરતા જોવા ઝંખે છે. હું ઘણીવાર વિચારું છું કે સૌથી યોગ્ય એવા વડા પ્રધાન પદના ઉમેદવાર અડવાણીને નિર્દયતાથી હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. શત્રુઘ્ન સિંહાએ બીજું ટિ્વટ કરીને જણાવ્યું છે કે અડવાણીને કયારેય એવી તક આપવામાં આવી નથી કે તેઓ દેશ અને દુનિયા માટે શું કરી શકે છે. ભાજપની અંદર કે બહાર કોઇ પણ તેમના અનુભવને પડકારી શકે તેમ નથી.ભાજપે રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં લઇને ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ, વેંકૈયા નાયડુ અને નાણાં પ્રધાન અરુણ જેટલીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ ર૪ જુલાઇએ સમાપ્ત થાય છે.