આયુષ્યમાન ભારત દિવસ ઉજવણી અંતર્ગત સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વરદ હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સપ્તધારા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અમદાવાદના કિરીટ શેલત, વિરમગામના નીલકંઠ વાસુકિયા, જુનાગઢના શૈલેશ નાંઢા, વિજાપુરના સોનલ પ્રજાપતિને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા. સન્માનિત કર્મચારીઓને પદાધિકારીઓ, અધિકારીઓ સહિતના લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. અગ્ર સચિવ જયંતિ રવિનાં માર્ગદર્શન પ્રમાણે રાજ્યભરમાં ૧૫ હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને સપ્તધારા તાલિમ આપવામાં આવી છે અને સપ્તધારાના સાધકો દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય વિષયક સેવાઓની સચોટ માહિતી આપવામાં આવી રહી છે. સ્ટેટ આઇ.ઇ.સી ઓફિસર ડો.શૈલેશ સુતરીયા દ્વારા સપ્તધારાની તમામ પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી રહી છે અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલીકરણને ૨૩/૦૯/૧૯ના રોજ એક વર્ષ પુર્ણ થયું છે જેને ધ્યાને લઇને ભારત સરકારે સમગ્ર દેશમાં ૧૫/૦૯/૧૯ થી ૦૨/૧૦/૨૦૧૯ સુધી આયુષ્યમાન ભારત પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. આ પખવાડિયુ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય યોજનાનો પ્રચાર પ્રસાર કરી જાગૃતિ ફેલાવવાનો છે જેથી લાભાર્થીઓને યોજનાની સંપુર્ણ માહિતી મળી રહે અને વધુ લોકો યોજનાનો લાભ મેળવી શકે. સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકો સુધી સચોટ માહિતિ પહોંચાડવામાં આવી રહી છે.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિા, વિરમગામ)