ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે ભાજપાના ‘‘સંગઠન પર્વ-૨૦૧૯’’ના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ગુજરાતભરના વિવિધ સહકારી ક્ષેત્રોના આગેવાનોની એક બેઠક યોજાઇ હતી જેમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ વાઘાણીએ ઉપસ્થિત સૌ આગેવાનોને ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યુ હતુ.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ લોકસભાના ઐતિહાસિક જનાદેશ બાદ આપણી જવાબદારીઓ પણ ખુબ વધી જાય છે. સમાજનો જેમ જેમ વિસ્તાર થતો જાય તેમ તેમ ભાજપાની વિચારધારાનો વ્યાપ પણ થતો રહેવો જોઇએ. ભવિષ્યના ઉજ્જવળ ભારતનો પાયો નાંખવાનું કામ સંગઠન પર્વ દ્વારા થાય છે ત્યારે, સમાજના દરેક વિસ્તારોનો દરેક વર્ગ ભાજપા સાથે જોડાય તે રીતે સદસ્યતા વૃધ્ધિ અભિયાન દ્વારા દરેક બુથ સુધી ભાજપાનો વ્યાપ વધુ ને વધુ મજબૂત બનાવીએ.
આ બેઠકમાં ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક ભાર્ગવ ભટ્ટ, સંગઠન પર્વના પ્રદેશ સહ સંયોજક રજની પટેલ, સહકારી આગેવાન અને પૂર્વ મંત્રી દિલીપ સાંઘાણી, સહકારી આગેવાન અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી, સહકારી આગેવાન ડોલરભાઇ કોટેચા, નરહરિભાઇ અમીન તથા ગુજરાતભરના વિવિધ સહકારી ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.