લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની તમામ ૨૫ સીટ પર કોંગ્રેસની હાર પછી સચિન પાયલટ રાજ્યના ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એમ બેમાંથી કોઈ એક પદ છોડી શકે છે. તેમાં પણ એવી સંભાવના વધુ છે કે તેઓ ઉપમુખ્યમંત્રી પદ છોડી દેશે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને સતત ત્રીજા દિવસે પણ મળવાની તક આપી ન હતી. બીજી તરફ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ સાથે છેલ્લા ત્રણ દિવસોથી મુલાકાત કરી નથી. બન્ને રવિવારથી તેમને મળવાના પ્રયાસો કરી રહ્યા હતા.
મંગળવારે બન્ને નેતા મુલાકાત માટે તુગલક રોડ સ્થિત નિવાસસ્થાને સવારે ૧૧ વાગે પહોંચ્યા હતા, પરંતુ દિવસભર રાહ જોયા છતા પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ શકી ન હતી. બીજી બાજુ રાજસ્થાનમાં સ્થાનિક નેતાઓએ કહ્યું કે,ગેહલોતે હારની જવાબદારી લેવી જોઈએ. પહેલા સમાચાર આવ્યા હતા કે, રાહુલ સાંજે સાડા ચાર વાગે નેતાઓ(ગેહલોત-પાયલટ)સાથે મુલાકાત કરશે. પરંતુ રાહુલે આ બન્ને નેતાઓ સહિત દેશના કોઈ પણ નેતા સાથે મુલાકાત કરી નથી.
મુલાકાત ન થવાથી બન્ને નેતાઓ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. ત્યારબાદ સીએમ ગેહલોત મોડી સાંજે જયપુર પહોંચ્યા હતા, પરંતુ પાયલટ બુધવારે દિલ્હીથી નીકળ્યા હતા.
કોંગ્રેસના પ્રદેશ સચિવ સુશીલ આસોપાએ ફેસબુક પર લખ્યું કે , રાજ્યમાં કોંગ્રેસની હારનું કારણ પાયલટને સીએમ ન બનાવવાનું છે. જો પાયલટ સીએમ હોત તો લોકસભાના પરિણામો અલગ જ હોત.
બીજી બાજુ, હનુમાનગઢના કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ કેસી બિશ્નોઈએ કહ્યું કે, હારની જવાબદારી ગેહલોતે લેવી જોઈએ. ગેહલોતે મંગળવારે કહ્યું કે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને ખામીઓ જણાવવાનો અધિકાર છે. તેઓ મુખ્યમંત્રી, પ્રદેશઅધ્યક્ષ અથવા પાર્ટીના કોઈ પણ પદાધિકારીની ખામીઓને જણાવી શકે છે. કોંગ્રેસ લોકતાંત્રિક પાર્ટી છે, જેમાં કોઈની પણ ખામીઓ જણાવવાનો હક છે. આ ખામીઓથી જ શિખવા મળે છે.
આગળની પોસ્ટ