સંસદના સેન્ટ્રલ હોલમાં આજે યોજાનારા જીએસટી લોન્ચીંગના ૮૦ મીનીટના ઐતિહાસિક સમારોહમાં ઉદ્યોગ અને મનોરંજન જગતના મહારથીઓ પણ હાજર રહેશે. સરકારે આ ભવ્ય ઇવેન્ટ માટે ટાટા જુથના ચેરમેન એમિરેટસ રતન ટાટા, બોલીવુડ લેજન્ડ અમિતાભ બચ્ચન અને સુરસામ્રાજ્ઞી લત્તા મંગેશકરને આમંત્રણ આપ્યુ છે. કાર્યક્રમમાં કાયદા જગતના માંધાતા હરીશ સાલ્વે, સોલી સોરાબજી અને કે.કે.વેણુગોપાલ પણ હાજરી આપશે.
વરિષ્ઠ સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર સરકારે લોકસભા અને રાજયસભાના સભ્યો ઉપરાંત અન્ય ૧૦૦ લોકોને જીએસટી લોન્ચીંગના સમારોહ માટે આમંત્રણ આપ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહ ઉપરાંત ભુતપુર્વ નાણાપ્રધાન યશવંત સિંહા, આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ અને આરબીઆઇના ભુતપુર્વ ગવર્નર્સ સી.રંગરાજન, બિમલ જાલાન, વાય.વી.રેડ્ડી અને ડી.સુબ્બારાવ પણ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શકયતા છે.
જીએસટી કાઉન્સીલના સભ્યો, ઉદ્યોગ સંગઠનો સીઆઇઆઇ, એફઆઇસીસીઆઇ અને એસોચેમના પ્રમુખ, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો અને હાઇકોર્ટના ચીફ જસ્ટીસ પણ જીએસટી લોન્ચના સાક્ષી બનશે.
સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે અન્ય કેટલાકને વ્યકિતગત આમંત્રણ આપ્યુ છે. જીએસટી લોન્ચીંગનો સમારોહ આજે રાત્રે ૧૦-૪પ કલાકે શરૂ થશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના આગમને પહેલા મહેમાનોને જીએસટી અંગેની ૧૦ મીનીટની ફિલ્મ બતાવવામાં આવશે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુખર્જીના રપ-રપ મિનીટના ભાષણ પછી નાણા પ્રધાન અરૂણ જેટલી નવી સિસ્ટમ્સ અંગે કેટલીક પ્રારંભિક માહિતી આપશે.બે મીનીટની ફિલ્મ પછી આજે મધરાતે જીએસટી લોન્ચ કરવામાં આવશે અને ત્યાર પછી રાષ્ટ્રપતિ ટુંક સમયમાં સંસદમાંથી પ્રસ્થાન કરશે.
લોન્ચીંગ સમારોહ વખતે મંચ પર રાષ્ટ્રપતિ વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી, અધ્યક્ષ સુમિત્રા મહાજન અને ભુતપુર્વ વડાપ્રધાનો મનમોહનસિંઘ અને એચ.ડી.દેવે ગોવડા હાજર રહેશે.કાર્યક્રમમાં પંજાબના ભુતપુર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલ અને મેટ્રો ટ્રેનના જનક ઇ શ્રીધરન પણ હાજર રહે તેવી શકયતા છે.
પાછલી પોસ્ટ